ગુજરાતમાં 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પણ ઉંડેથી છે એકદમ વિભાજિત
ગુજરાતમાં 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પણ ઉંડેથી છે એકદમ વિભાજિત
ગુજરાતમાં પરપ્રાંતિયોના પલાયનની ઘટના હજુ તાજી જ છે, ત્યારે 182 મીટર લાંબી સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની સાઈટ પર કામ કરતા એન્જિનિયરોએ ત્વરીત નિર્ણય લેવાનો હતો. અહીં કામ કરતા અડધાથી જાજા એટલે કે 4500 કામદારો ડેડલાઈનને પહોંચી વળવા માટે કામ કરી રહ્યા હતા તે બધા જ પરપ્રાંતિયો હતા. જેમાંથી મોટાભાગના કામદારો ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી હતા. નામ ન આપવાની શરતે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે અહીં કામ કરતા પરપ્રાંતિય કામદારો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત હતા પરંતુ પીએમ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂનું લોકાર્પણ કરવાના હોય અહીં કામ કરતા પરપ્રાંતિયોને વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવી.
પરપ્રાંતિયો પર હુમલા બાદ
ગુજરાતમાં પરપ્રાંતિયો પરના હુમલા મામલે સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું કામ અટકી ગયું અને ઉતાવળે જાગૃકતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ સાથે કામ કરતા એક અધિકારીએ કહ્યું કે, 'મજૂરોના કેમ્પની મુલાકાત લઈ તેમની સુરક્ષાની ખાતરી કરી.' વડા પ્રધાન ટૂંક સમયમાં જ મુલાકાત લેવાની તૈયારીમાં હતા, તેથી સ્થાનિક પોલીસ આગળ આવી અને શક્ય તેટલો સપોર્ટ આપ્યો.
અન્ય પરપ્રાંતિયો પર કોઈની રહમ નજર નહોતી
જ્યારે રાજ્યના અન્ય ભાગમાં વસતા પરપ્રાંતિયો એટલા ભાગ્યશાળી નહોતા. ઢુંઢરમાં 14 માસની બાળકી સાથે 28 સપ્ટેમ્બરે થયેલ શર્મશાર કરી નાખે તેવી દુષ્કર્મની ઘટના બાદ ઓક્ટોબરમાં અંદાજે 80 હજાર જેટલા પરપ્રાંતિયો ગુજરાત છોડીને જતા રહ્યા, સોશિયલ મીડિયામાં પરપ્રાંતિયો વિરુદ્ધ નફરત ફેલાવતા મેસેજ વાયરલ થવા લાગ્યા હતા. નફરતની આગ ફેલાવવા માટે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવા લાગ્યા. કેટલાય મેસેજમાં દુષ્કર્મનો મુદ્દો ગાયબ થઈ ગયો અને કઈ રીતે પરપ્રાંતિયોએ સ્થાનિકો પાસેથી રોજગાર છીનવ્યું તે મુદ્દાને ઉછાળવામાં આવ્યો. સાણંદ-હંસલપુર વિસ્તારની આજુબાજુમાં આવેલ કંપનીઓમાંથી પરપ્રાંતિયો ભાગવા લાગ્યા હતા જ્યારે આ અહીંથી જ 200 કિમી દૂર આવેલ જમીન પર પરપ્રાંતિયો સરદારની પ્રતિમાને અંતિમ ટચ આપી રહ્યા હતા.
2900 કરોડનો તોતિંગ ખર્ચ
બાજી બાજુ સ્ટેચ્યૂ બનાવવા પાછળ થયેલ ખર્ચને લઈને પણ અપ્રસન્નતા જોવા મળી રહી છે. સરદારની પ્રતિમા બનાવવા પાછળ 2900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાનું મોટાભાગનું ભંડોળને ગવર્નમેન્ટ અને પબ્લિક સેક્ટરની કંપનીઓએ પોતાના સીએસઆર બજેટમાંથી ફાળવ્યું. જણાવી દઈએ કે ન્યૂયોર્ક સ્થિત આવેલ સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી બનાવવામાં થયેલ ખર્ચનો મોટો ભાગ પ્રાઈવેટ કંપની દ્વારા ફાળવવામાં આવ્યો હતો.
ગુજરાત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે પણ...
પોલિટિકલ એક્સપર્ટ ઘનશ્યામ શાહે કહ્યું કે, "જ્યારે ગુજરાત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે અને સરદારની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તે નર્મદા ડેમમાં પણ પૂરતું પાણી ઉપલબ્ધ નથી, ત્યારે મારું માનવું છે કે આવા પ્રોજેક્ટને એક વર્ષ સુધી સ્થગિત કરી દેવો જોઈએ. સ્ટેચ્યૂ ઑફ યુનિટી માત્ર વિશ્વની સૌથી લાંબી પ્રતિમા બનાવાની એક ધૂન છે તે સિવાય બીજું કશું જ નથી અને જે વ્યક્તિ આ પ્રતિમા બનાવશે તેનું નામ પણ આપોઆપ તેની સાથે જોડાઈ જશે. જો આ પ્રતિમા પટેલો અથવા તો આદિવાસીઓને ખુશ ન કરી શકતી હોય તો બીજાઓને તો ક્યાંથી ખુશ કરશે?"
બિઝનેસ પર અસર
નામ ન આપવાની શરતે એક ગુજરાતી બિઝનેસમેને કહ્યું કે, "ઉત્તર ભાતીયોને મળી રહેલી ધમકીઓને પગલે રાજ્યના કેટલાય પ્રોજેક્ટ અસરગ્રસ્ત થયા. મોટાભાગના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પરપ્રાંતિયો પર જ નિર્ભર કરે છે. અમારે ત્યાં કામ કરતા પણ કેટલાય પરપ્રાંતિયો પોતાના વતન ભાગી ગયા છે અને દિવાળી પહેલા પરત આવવાના મૂડમાં નથી. આવા કિસ્સાઓ મહારાષ્ટ્રમાં કેટલીય વાર બની ગયા પણ ગુજરાતમાં આવું ક્યારેય નહોતું બન્યું. ત્યારે તારણ એ જ નિકળે છે કે હિંસાને અટકાવવા જરૂરી પગલાં ભરવામાં સરકાર નિષ્ફળ રહી."
સરકારે ઘડી કાઢ્યો નવો કાયદો
પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ શાંતિ માટે અપીલ કરી હતી, સરકારે એક નવો કાયદો પણ ઘડી કાઢ્યો જે 80 ટકા સ્થાનિકોને રોજગાર આપવા માટે ઔદ્યોગિક એકમોને આદેશ આપે છે. જો કે ગુજરાત પાસે પહેલેથી જ ઈન્ડસ્ટ્રિયલ પૉલિસી છે જે મુજબ 85 ટકા કામદારો સ્થાનિકો હોવા જોઈ, પરંતુ તેના અમલીકરણમાં બેદરકારી જોવા મળી છે. નવા કાયદાને અનુપાલનના કિસ્સામાં વધુ કડક જોગવાઈઓ સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. જ્યારે એક સરકારી અધિકારીને પૂછવામાં આવ્યું કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટમાં 80 ટકા સ્થાનિકોને રોજગારી મળી જશે? ત્યારે અધિકારીએ મુદ્દાની તપાસ કરવામાં આવશે માત્ર તેટલું કહી કોઈપણ કોમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.
સમૃદ્ધતાના સમયે આવા પ્રોજેક્ટ લાવવા જોઈએ
સેન્ટર ફોર ડેવલપમેન્ટ અલ્ટરનેટિવ(CFDA), અમદાવાદના અર્થશાસ્ત્રના પ્રોફેસર ઈન્દિરા હિરવેએ કહ્યું કે, 'પરપ્રાતિય કામદારોનો કોઈ સત્તાવાર આંકડો નથી, અંદાજિત 40-50 લાખ પરપ્રાંતિયો ગુજરાતમાં કામ કરે છે. દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં લઘુત્તમ વેતન આપવામાં આવે છે ત્યારે ઓર્ગેનાઈઝેશન અને ફેક્ટરીને વધુ લાભ થઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા વૈભવી પ્રોજેક્ટ સમૃદ્ધતાના સમયે લાવવા જોઈએ, જ્યારે સમાજમાં આવી ઉચ્ચ સ્તરની અસમાનતા હોય છે ત્યારે નહિ.'
સ્થાનિકોને રોજગારી મળશે?
જ્યારે બીજી બાજુ સ્ટેચ્યૂ ઑફ યુનિટી બની રહી છે ત્યાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાગડિયા ગામના ગોવિંદભાઈ તડવીએ કહ્યું કે, તેના ગામના 1500 જેટલા લોકો તેમની જમીન ગુમાવી ચૂક્યા છે અને હજુ સુધી તેઓ પુનર્વસન પામ્યા નથી. આ પ્રોજેક્ટમાં જ સુપરવાઈઝર તરીકે કામ કરતા તડવીએ કહ્યું કે આ પ્રોજેક્ટથી સ્થાનિકોને કોઈ લાભ મળ્યો નથી. રાજ્ય સરકાર આશા સેવી રહી છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટથી રોજગારી વધારી શકાશે, પણ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે દિવસની 14000થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા આવે.
સ્થાનિકોનો વિરોધ
પરંતુ આદિવાસીઓ આશા અને અંદાજા પર બાંધેલા આવા લાંબા ગાળાના વચનો પર ભરોસો કરતા નથી. મોદી દ્વારા એક બાજુ સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે નર્મદાની આજુબાજુમાં વસેલા 70 ગામના 75000થી વધુ ગ્રામીણોએ તેનો વિરોધ કરવા માટે 31મી ઓક્ટોબરે એક દિવસના પ્રતિક ધારણાની ચીમકી ઉચ્ચારી છે. મઠવાડી ગામમાં રહેતા લખનભાઈ મુસાફિરે કહ્યું કે 70 ગામમાં ચૂલા નહિ સળગે અને કાળા પટ્ટા હાથમાં રાખી વિરોધ નોંધાવીશું. વધુમાં લખનભાઈએ કહ્યું કે, 'અમે ભાજપ કે સરદાર પટેલની વિરુદ્ધમાં નથી, પણ હકીકતમાં સાદગીભર્યું જીવન વ્યતિત કરનાર સરદાર પણ આજે જીવતા હોત તો આવા વૈભવિ પ્રોજેક્ટને તેઓ ખુદ મંજૂરી ન આપત.'
અમને પાણીથી વંચિત રાખવામાં આવે છે
લખન મુસાફીરે કહ્યું કે સરદાર સરોવર ડેમની બાજુમાં જ રહેતા લોકો ડેમનું પાણી નથી મેળવી શકતા, કેનાલ તેમના ગામમાંથી જ નીકળતી હોય છતાં તેમને પાણીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. RTI એક્ટિવિસ્ટ રોહિત પ્રજાપતિએ કહ્યું કે સ્ટેચ્યૂ બનાવવામાં તોતિંગ ખર્ચ કરવાને બદલે સરકારે આદિવાસીઓના કલ્યાણ માટે અને અધૂરાં કેનાલ નેટવર્કને પૂરાં કરવા પાછળ રૂપિયા ખર્ચવા જોઈએ.
હાર્દિકે આંદોલન તેજ કરવાની ચીમકી ઉચ્ચારી
એક બાજુ ભાજપ સરદાર પટેલને પોતાના હિરો બનાવી રહ્યું છે અને બીજી બાજુ પટેલોની માગણીની નિરંતર અવગણના કરવામાં આવી રહી છે. ત્યારે હાર્દિક પટેલે પણ 31મી ઓક્ટોબરે જૂનાગઢથી સરકાર વિરુદ્ધ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. હાર્દિક પટેલ જૂનાગઢમાં એક રેલીને સંબોધશે જેમાં દેશના પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા અને ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા પણ હાજર રહેશે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ભાજપ સરકારનું અન પ્રોડેક્ટિવ માર્કેટીંગ છેઃ શંકરસિંહ વાઘેલા