પતિ પછી પત્નીએ પણ લીધી દિક્ષા, 3 વર્ષની બાળકીનું શું?
જૈન સાધુ બનવા માટે આખરે મધ્યપ્રદેશના દંપતીએ 100 કરોડની પ્રોપર્ટી અને 3 વર્ષની બાળકીનો ત્યાગ કર્યો. પતિ પછી પત્નીએ પણ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લીધી દિક્ષા. જાણો વધુ અહીં
મધ્યપ્રદેશના વેપારી પરિવાર કે જેની પાસે 100 કરોડથી પણ વધુ સંપત્તિ છે તેને છોડીને આખરે 25મી સપ્ટેમ્બરના રોજ બન્ને માતા-પિતાએ દિક્ષા લઇ લીધી હતી. નોંધનીય છે કે નીમચના યુવાન ઉદ્યોગપતિ સુમિતે 23 સપ્ટેમ્બરના રોજ દિક્ષા લીધી હતી. અને 2 દિવસ પછી એટલે કે 25મી સપ્ટેમ્બરના રોજ દિકરીની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને આખરે માતા અનામિકાએ પણ દિક્ષા લીધી છે. તેમની 2 વર્ષ અને 10 મહિનાની દીકરીને તેના નાના-નાનીએ દત્તક લીધી છે. અને હવે તે જ તેનું આવનારા સમયમાં લાલનપાલન અને ભરણ પોષણ કરશે. નોંધનીય છે કે આટલા નાના બાળકને છોડીને દિક્ષા લેવા માટે બાળ વિકાસ ગૃહથી લઇને અનેક સામાજિક સંગઠનોએ વિરોધ ઉઠાવ્યો હતો. અને બાળકીની માતાને દિકરી 5 વર્ષની થાય ત્યાં સુધી તેની સાથે રહેવા સમજાવાની વાત પણ કરી હતી. પણ છેવટે બન્ને જણાએ દીક્ષા લઇ લીધી હતી.
અને હવે બન્ને જણાં અલગ અલગ રીતે જૈન સાધુ અને સાધ્વી તરીકે પોતાનું જીવન પસાર કરશે. અને તેમની દિકરીને નાના-નાની મોટી કરશે. અનેક લોકોના મનમાં હજી પણ તે જ સવાલ થઇ રહ્યો છે કે આટલી નાની બાળકીને મૂકી એક માતા કેવી રીતે દિક્ષા લઇ શકે. પણ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવા માટે જ અનામિકાએ 2 દિવસ પછી દિક્ષા લીધી હતી. અને હવે તેમણે તમામ મોહ અને માયાના ત્યાગ કરી સાધુ જીવન અપનાવી લીધું છે.