સુરત કોર્ટે રાહુલ ગાંધીના જામીન 13 એપ્રિલ સુધી લંબાવ્યા, 3 મેંના રોજ સૂનાવણી થશે
સુરત : મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે રાહત આપી છે. હવે કોર્ટે તેમના જામીન 13 એપ્રિલ સુધી લંબાવ્યા છે. રાહુલની સજા સામેની અરજી પર હવે 3 મેના રોજ સૂનાવણી થશે. રાહુલ ગાંધી આજે તેમની સજા વિરૂદ્ધ સુરત સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધી માટે રાહતની વાત એ છે કે તેમણે 13મી એપ્રિલે કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં. આ દરમિયાન કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
સજા બાદ આદેશ સામે અપીલ કરવા રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીના સમર્થનમાં સુરતમાં જિલ્લા અને સેશન્સ કોર્ટ બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકઠા થયા હતા. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષી જાહેર કરીને સજા ફટકારી હતી. તેમને ગુનાહિત માનહાનિ માટે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

રાહુલ ગાંધીને સજા ફટકાર્યા બાદ હવે કોંગ્રેસ સહિત વિપક્ષમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે ત્યારે રાહુલ ગાંધી સાથે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને સંગઠનના પ્રભારી જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ અને આનંદ શર્મા સહિતના કોંગ્રેસના મોટા નેતાઓ સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સુરત પહોંચ્યા તેના કલાકો પહેલાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ કાર્યકરોને સુરતમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. પાર્ટીએ અટકાયત કરાયેલા કાર્યકરોનો વીડિયો પણ શેર કર્યો હતો.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે નીરવ મોદી અને લલિત મોદી હજારો કરોડ રૂપિયા લઈને દેશ છોડીને ભાગી ગયા છે. આ તમામ લોકોની સરનેમ મોદી કેમ છે? આ પછી રાહુલ ગાંધી પર પુર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
