સુરતમાં પડ્યા પુણેની હિંસાના પડઘા, ઉધનામાં ચક્કાજામ
મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગાંવમાં ભડકેલી હિંસાના પડઘા દિલ્હી બાદ ગુજરાતના સુરતમાં પણ જોવા મળ્યા છે. ભીમા કોરેગાંવ હિંસાના વિરોધમાં સુરતના ઉધના વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા
મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગાંવમાં ભડકેલી હિંસાના પડઘા દિલ્હી બાદ ગુજરાતના સુરતમાં પણ જોવા મળ્યા છે. ભીમા કોરેગાંવ હિંસાના વિરોધમાં સુરતના ઉધના વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેને કારણે ચક્કાજામ થયો હતો. અહીં મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ અને દલિત નેતાઓ રસ્તા પર જોવા મળ્યા હતા, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઉધના વિસ્તારમાં હળવો પથ્થરમારો પણ થયો હતો, જેને કારણે લોકોએ દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની જરૂર પડી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવેલ લોકોએ સુરતમાં ભાજપ કાર્યાલયની બહાર પણ પ્રદર્શન કર્યું હતું અને નારેબાજી કરી હતી.
તેમનું કહેવું છે કે, પુણેમાં તેમના સમાજના લોકોને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું, કાયદાકીય વ્યવસ્થા છતાં તેમના સમાના એક વ્યક્તિનું મૃત્યુ થયું અને ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થયો છે, એના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તમાં ચક્કાજામ કરવાની કે ભાજપના કાર્યાલયની બહાર પ્રદર્શન કરવાનું કોઇ આયોજન નહોતું. દલિત નેતાઓ રિંગ રોડ ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને ફૂલ-હાર ચડાવી કલેક્ટરની ઓફિસ તરફ પ્રયાણ કરીશું અને ગુરૂવારે સુરત બંધનું એલાન આપવામાં આવશે. સુરતથી મહારાષ્ટ્ર તરફ જતી અનેક બસો પણ રદ્દ કરવામાં આવી છે. આ કારણે અનેક મુસાફરો અટવાયા હતા. મહારાષ્ટ્રની કુલ 50થી વધુ બસોને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.
ગુજરાત સરકાર થઇ સાવચેત
આ પ્રકારની કોઇ ઘટના રાજ્યમાં ન બને એ માટે સરકાર પહેલેથી સાવચેત હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર, દલિત, ઠાકોર અને આદિવાસી સમાજના આંદોલનો નાને-મોટે પાયે ચાલી રહ્યાં છે. આ કારણે બુધવારે મળેલ મંત્રીમંડળની બેઠક મળી હતી અને તેમાં મહારાષ્ટ્રની ઘટાનાના કોઇ મોટા પડઘા રાજ્યમાં ન પડે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી પોલીસતંત્રને સાબદા રહેવાની સૂચના આપવામાં આવી હતી.