સુરેન્દ્રનગર 1500 કરોડ જમીન કૌભાંડ કેસમાં 6 સભ્યોની SIT ની રચના કરાઈ
સુરેન્દ્રનગરમાં કથિત 1500 કરોડના જમીન કૌભાંડમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 4 જાન્યુઆરીના રોજ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા બાદ ગુજરાત સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક ઉચ્ચ કક્ષાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

અધિક નિયામક બિપિન અહિરેના નેતૃત્વ હેઠળ રચાયેલી આ છ સભ્યોની ટીમ હવે કૌભાંડના મૂળ સુધી પહોંચશે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસમાં લાંચની રકમના જે ચોંકાવનારા ટકાવારીના આંકડા સામે આવ્યા હતા, તે રાજ્યના વહીવટી તંત્રને હચમચાવી નાખે તેવા છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતા જોતા SITની રચનાને મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે.
ACB દ્વારા આ ખાસ તપાસ ટીમમાં વિવિધ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જેમાં ACBના અધિક નિયામક બિપિન અહિરે (ટીમ લીડર) ઉપરાંત નાયબ નિયામક (વહીવટ) બી.જે. પંડ્યા, રાજકોટના ઈ.ચા. મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, ACB મુખ્યમથકના મદદનીશ નિયામક આર.બી. દેસાઈ, અમદાવાદ શહેર ACBના પી.આઈ. ડી.એન. પટેલ અને સુરેન્દ્રનગર ACBના પી.આઈ. એમ.ડી. પટેલનો સમાવેશ થાય છે. મોરબી ACBના પી.આઈ. પી.એ. દેકાવાડીયા પણ આ ટીમના સભ્ય છે.
ACBના અધિકારીઓના જણાવ્યા મુજબ, SIT મુખ્યત્વે બિનખેતી (NA) પરવાનગીઓ આપવામાં થયેલી ગેરરીતિઓ, સત્તાના દુરુપયોગ અને સંડોવાયેલા અધિકારીઓની આવક કરતાં વધુ સંપત્તિના પાસાઓની તપાસ કરશે. આ તપાસ દરમિયાન મહેસૂલી રેકોર્ડ્સ અને બેંક વ્યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે, જેથી આ કૌભાંડના તમામ પાસાઓ સ્પષ્ટ થઈ શકે.
આ કેસમાં EDની એન્ટ્રી બાદ કેટલાક સ્ફોટક ખુલાસા થયા છે. 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડા પાડવામાં આવતા બેડમાં છુપાવેલી 67.50 લાખ રોકડ મળી આવી હતી. ત્યારબાદ ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલાએ ED સમક્ષ આખી સિસ્ટમનો પર્દાફાશ કરી દીધો હતો.












Click it and Unblock the Notifications
