સૂર્ય ગુજરાત યોજના - વીજ ગ્રાહકોએ લીધો 57722 લાખની સબસિડીનો લાભ
Surya Gujarat Yojana: રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સોલાર રૂફટોપ યોજના સૂર્ય ગુજરાત યોજનાની વિગતો અંગે વિધાનસભા ગૃહ ખાતે ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇને સંબોધીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં 28835 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા 111031 કિલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂપિયા 16906 લાખ સબસીડી ચૂકવવામાં આવી છે.
એવી જ રીતે સુરત જિલ્લામાં કુલ 32253 વીજ ગ્રાહકોએ કુલ 147029 કિલોવોટની ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવી છે, જે સોલાર સિસ્ટમ લગાવનાર વીજ ગ્રાહકોને કુલ રૂપિયા 22387 લાખ સબસીડી આપવામાં આવી છે.
જ્યારે વડોદરા જિલ્લામાં પણ સૂર્ય ગુજરાત યોજના હેઠળ 29094 વીજ ગ્રાહકોએ કુલ 121033 કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવી છે, જેના પરિણામે વીજ ગ્રાહકોને કુલ રૂપિયા 18429 લાખ સબસીડી ચુકવવામાં આવી છે.

સૂર્ય-ગુજરાત યોજના હેઠળ રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાના આશરે 90 હજારથી વધુ વીજ ગ્રાહકોને છેલ્લા બે વર્ષમાં રૂપિયા 57722 લાખની સબસિડીનો લાભ અપાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્યમાં ઓગસ્ટ 2019થી સૂર્ય ગુજરાત યોજના કાર્યરત છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રુફટોપ સ્થાપિત કરવામાં 82 ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, ત્યારે આ યોજના હેઠળ વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર એક કિલોવોટથી મહત્તમ 10 કિલોવોટની મર્યાદામાં સોલાર રૂફટોપ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
