સોમનાથના આંગણે "સ્વાભિમાન પર્વ"નો ભવ્ય પ્રારંભ: રાજકોટથી વિશેષ ટ્રેનથી સોમનાથ પહોંચ્યા ભક્તો
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અતૂટ આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી ચાર દિવસીય "સોમનાથ સ્વાભિમાન પર્વ" નો મંગલ પ્રારંભ થયો છે. ૦૮ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધી ચાલનારો આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના ૧૦૦૦ વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ વિજયગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે.

વિશેષ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓનું આગમન
રાજ્ય સરકાર દ્વારા આ પર્વમાં જોડાવા ઈચ્છતા ભક્તો માટે ચાર મુખ્ય મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. આજે રાજકોટથી ઉપડેલી વિશેષ ટ્રેન જ્યારે સોમનાથ રેલવે સ્ટેશને પહોંચી, ત્યારે હજારો શિવભક્તોના 'જય સોમનાથ' અને 'હર હર ભોલે'ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સંઘર્ષ અને આસ્થાનો ૧૦૦૦ વર્ષનો ઇતિહાસ
સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે. ૧૦૨૬માં મહમદ ગઝનવીના આક્રમણ બાદ સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આ આસ્થાના કેન્દ્રને ખંડિત કરવાના પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને ભાવભીની અંજલિ આપવામાં આવી રહી છે.
યાત્રાળુઓના પ્રતિભાવો
દીપકભાઈ દવે (રાજકોટ): "અમે અહીં માત્ર દર્શન કરવા નહીં, પણ આપણા ગૌરવશાળી ઇતિહાસને નમન કરવા આવ્યા છીએ. અનેક આક્રમણો છતાં આજે આ ભવ્ય શિખર અડીખમ ઊભું છે, જે આપણી સંસ્કૃતિની જીવંતતાનું પ્રમાણ છે."
દેવાંગ જાની (સુરેન્દ્રનગર): "સરદાર પટેલે જે રીતે આ મંદિરનું નવસર્જન કર્યું અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે તેને વિશ્વસ્તરીય બનાવી રહ્યા છે, તે જોઈને દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે."
આગામી કાર્યક્રમો
૧૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેનો મારફતે ઉમટી પડશે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શૌર્ય ગાથા પ્રદર્શન અને ૧૦ જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે.












Click it and Unblock the Notifications
