'તૌકતે' વાવાઝોડુ 18 મેએ ગુજરાત પર ટકરાવાની સંભાવના, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રનુ ડિપ્રેશન શનિવારે (15 મે)ના રોજ સાયક્લોનમાં પરિણમે તેવી સંભાવના છે.
અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રનુ ડિપ્રેશન શનિવારે (15 મે)ના રોજ સાયક્લોનમાં પરિણમે તેવી સંભાવના છે. તૌકતે વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જારી કરીને જણાવ્યુ કે લક્ષદ્વીપ ક્ષેત્રમાં દબાણ સર્જાયુ છે. 18 મેના રોજ તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે. આ વાવાઝોડાના કારણે કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
18 મેએ વાવાઝોડુ ટકરાવાની સંભાવના
તૌકતે વાવાઝોડાના લીધો ભાવનગર અને પોરબંદરની વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં 18 મેના રોજ સવારે વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના છે. ત્યારબાદ વાવાઝોડુ પાકિસ્તાન તરફ ફંટાઈને કરાંચીના કિનારે પણ ટકરાઈ શકે છે. તૌકતે વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના હવામાનમાં 16મે પછી પલટો આવશે તેમજ 16 અને 18મે દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
વહીવટી બન્યુ તંત્ર સાબદુ
વાવાઝોડાની આગાહીના પગલે એનડીઆરએફની ટીમો રવાના કરવામાં આવી છે. ગુજરાત સરકારે દરિયાકિનારાના વિસ્તારના જિલ્લા કલેક્ટરોને જરૂરી પગલાં સાથેનો એક્શન પ્લાન તૈયાર રાખવા જણાવ્યુ છે. એનડીઆરએફની 53 ટીમ એલર્ટ કરવામાં આવી છે. આ ટીમો કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તૈનાત કરાશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
બંગાળ હિંસા પર NCSCનો રિપોર્ટઃ બળાત્કાર સહિત 1627 ઘટનાઓ
વાવાઝોડાના પગલે ચોમાસુ વહેલુ આવવાની સંભાવના
હવામાન એજન્સી સ્કાઈમેટના અહેવાલ મુજબ મે મહિનામાં સર્જાયેલુ વાવાઝોડુ સોમાલિયા, યમન અને ઓમાન તરફ જવાના બદલે ગુજરાત તરફ આગળ વધશે. આ વાવાઝોડુ કેરળ, કર્ણાટક દરિયાકાંઠેથી પૂર્વ અરબ મહાસાગરમાં થઈને પણજી સુધી જશે અને બાદમાં ગુજરાત તરફ આગળ વધશે. વાવાઝોડાના પગલે ચોમાસુ વહેલુ આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.