રાજ્ય સરકારે પ્રિ-મોન્સુન પ્લાનની સમીક્ષા હાથ ધરી, 8 મહાનગરોમાં મોકડ્રીલ કરી ચકાસણી કરાઈ રહી છે
ચોમસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવે સરકારે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-ર૦ર૩ અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

સમીક્ષા બાદ બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી કરવા સરકારે નિર્દેશ આપ્યા છે. સરકારે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી છે.
સરકાર દ્વારા તાકીદ કરાઈ છે કે, માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિં. આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઇ ક્ષતિ ઊભી થાય તો સંબંધિતો સામે પગલાં લેવામાં આવી શકે છે.
આ સિવાય રાજ્ય સરકારે લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્યો છે.
પ્રિ-મોન્સુન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી, 24x7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સીસીટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગની પણ ચર્ચા કરાઈ હતી.
આ સિવાય મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો રિહેબીલીટેશન ટીમ, સલામત સ્થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી.
આ સિવાય સરકારે મહાનગરપાલિકાઓને કહ્યુ છે કે, અન્ય નાની નગરપાલિકાઓ કે નગરોમાં વરસાદની વિકટ સ્થિતી સર્જાય તો મહાનગરો પોતાની સાધન-સામગ્રી ત્યાં મદદ માટે પહોંચાડવાનો સંવેદનાપૂર્ણ અભિગમ દાખવે.












Click it and Unblock the Notifications
