આ વર્ષે કેસર કેરી તમારા દાંત ખાટા કરશે, 20 ટકા જ પાક થવાની સંભાવના!
છેલ્લા 2 વર્ષથી ગુજરાતના ખેડૂતોની દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ઉપરાઉપરી વાવાઝોડા અને માવઠાએ ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવી લીધો છે.
જૂનાગઢ : છેલ્લા 2 વર્ષથી ગુજરાતના ખેડૂતોની દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ઉપરાઉપરી વાવાઝોડા અને માવઠાએ ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવી લીધો છે. આ સ્થિતીમાં હવે દેશ વિદેશમાં ગુજરાતની ઓળખ સમાન કેસર કેરી પણ લોકોના દાંત ખાટા કરવા તૈયાર છે. ખેડૂતો અને સંસ્થાઓનું માનિએ તો આ વર્ષે કેસર કેરીનો માત્ર 20 ટકા પાક થવાની સંભાવના છે. જેના કારણે સામાન્ય લોકોએ હવે કેસર કેરીને ભુલી જવી પડશે.
માત્ર 20 ટકા જ કેસર કેરીનું ઉત્પાદન
ગુજરાતના જૂનાગઢ અને આસપાસના જિલ્લાઓમાં કેસર કેરીનું મોટુ ઉત્પાદન થાય છે. આ કેસર કેરી ભારતભર અને વિદેશમાં એક અલગ ઓળખ ધરાવે છે. ઉનાળો આવતા જ કેસર કેરી બજારમાં આવી જાય છે. પરંતુ આ વખતે કેસર કેરી લોકલ બજારોમાં પહોંચી શકે તેની સંભાવનાઓ ઓછી છે. એક અંદાજ મુજબ આ વર્ષે માત્ર 20 ટકા ઉત્પાદન થવાની સંભાવના છે. ઓછા ઉત્પાદનને કારણે ભાવ પણ આસમાને રહેશે.
ઓછુ ઉત્પાદન કેમ?
કેરીના ઉત્પાદને હવામાન સાથે સીધો સંબંધ છે. જો યોગ્ય હવામાન ન મળે તો કેરીના ઉત્પાદનને મોટી અસર થાય છે. આ વર્ષે પ્રતિકુળ હવામાનને કારણે ફાલ ખરી જવાને કારણે જેટલી કેરીઓ લાગવી જોઈએ તેની માત્ર 20 ટકા જ કેરીઓ લાગી છે. કેરીના ફાલને ઝાકળ અને માવઠા સહિતના પરિબળો મોટી અસર કરે છે.
આ વર્ષે કેરીના ભાવ બમણા થશે
એપ્રિલ મહિનામાં કેરીની આવક શરૂ થઈ જાય છે. જો કે આ વર્ષે કેરીના આવક શરૂ થઈ છે પરંતુ તે પણ 4 થી 5 દિવસ મોડી છે. બીજી તરફ વાત કરીએ તો આ વર્ષે શરૂઆતમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને 10 કિલોના 1200 થી લઈને 1750 આસપાસ ભાવ મળ્યા હતા. આ વર્ષે સિઝનમાં 500 થી 700 રૂપિયે 10 કિલો વેચાતી કેરી 1200 રૂપિયા આસપાસ વેચાવાની સંભાવના છે.