ઓનલાઇન પોર્ટલથી એડવાન્સ ટેક્ષ ભરનારાને પાંચ ટકા વધુ રિબેટ મળશે, જાણો શું કહ્યું સરકારે?
રાજ્ય સરકારે નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપવા માટે બે મહત્વના નિર્ણય કર્યા છે.
ગાંધીનગર : રાજ્ય સરકારે નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપવા માટે બે મહત્વના નિર્ણય કર્યા છે. રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરેલી છે.
સરકારે કરેલા નિર્ણય અનુસાર જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના 31મીં 2022 સુધીના કે તે પહેલાના બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ 31 માર્ચ 2023 સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ 100 ટકા માફ કરી દેવાશે.
આ સિવાય આગામી નાણાંકીય વર્ષ 2023-24 ની વેરાની રકમ 30 જૂન સુધીમાં એડવાન્સ ભરી દેનારા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 10 ટકા રિબેટ અપાશે. આ વેરાની એડવાન્સ રકમ 30 જૂન સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે.
આ રીતે ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને ૧પ ટકા રિબેટ વર્ષ 2023-24 ના ભરવાપાત્ર વેરાની રકમ 30 જૂન સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે.
સરકારના નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન મળશે.