અમદાવાદ સિવિલમાં ત્રણ પુત્રોએ બ્રેઇનડેડ પિતાના અંગોનું દાન કર્યું, ત્રણ દર્દીઓને નવી જીંદગી મળશે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંગદાનને લઈને સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશથી પ્રેરાઈને ત્રણ ભાઈઓએ બ્રેઈનડેડ પિતાના અંગોનું દાન કરીને ત્રણ લોકોને નવી જીંદગી આપી છે.
વટવામાં રહેતા ગંગારામ કુશવાહને માર્ગ અકસ્માત સાંપડતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ચાર દિવસની સતત સઘન સારવાર બાદ તબીબો દ્વારા ગંગારામજીને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમના કાઉન્સિલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાનની અગત્યતા અને પવિત્રતા અંગેની સમજ અપાતા ત્રણેય પુત્રોએ ગંગારામજીના તમામ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
બ્રેઈનડેડ ગંગારામના લીવર અને બે કિડનીના દાન દ્વારા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ 105 માં અંગદાન અંગે માહિતી આપી હતી.
તેમને જણાવ્યું કે, વર્તમાન સમયમાં પિતાના મૃત્યુ બાદ તેમની મિલકત માટે ઝઘડતા પુત્રો તો જોયા છે પરંતુ આજે પિતાના અંગદાનથી તેઓને અમર બનાવવા ત્રણેય પુત્રોએ ભેગા થઈને જે અંગદાનનો હૃદયસ્પર્શી અને જનહિતલક્ષી નિર્ણય કર્યો છે તે ખરેખર ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારોનું પ્રતિબીંબ છે.
તેમણે કહ્યું કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવા યજ્ઞમાં હવે રાજ્યના ઘણા જિલ્લાઓ અને હોસ્પિટલ જોડાયા છે . સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે મહાયજ્ઞ બન્યો છે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 104 અંગદાન થયા છે અને તેમાંથી 341 અંગોથી 316 જરુરિયાતમંદોને નવજીવન મળ્યુ છે.












Click it and Unblock the Notifications
