લાયસન્સ ફી લઈને નોટરી તરીકે નિમણૂક કરવા વકીલોની રજૂઆત
કોઈ પણ પ્રકારની પરીક્ષા કે ઈન્ટરવ્યુ સિવાય ફક્ત અરજી કરીને અમુક લાયસન્સ ફી લઈને નોટરી તરીકે નિમણૂક આપવી જોઈએ તેવી વકીલોએ રજૂઆત કરી છે.
નોટરીની નિમણૂકોના નિયમોમાં ફેરફાર કરી અને જે વકીલોને 10 વર્ષની વકીલાત થઈ હોય તેવા વકીલોને કોઈ પણ પ્રકારની પરીક્ષા કે ઈન્ટરવ્યુ સિવાય ફક્ત અરજી કરીને અમુક લાયસન્સ ફી લઈને નોટરી તરીકે નિમણૂક આપવી જોઈએ તેવી વકીલોએ રજૂઆત કરી છે. આના માટે રજૂઆત વકીલોના એક જૂથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણો સહિતની અરજી, ટ્વિટર, રાઈટ ટુ પીએમ તથા અન્ય માધ્યમો દ્વારા કરેલ છે. આ બાબતે ગુજરાતના ઘણા બધા વકીલો આવો સુધારો થાય અને આત્મનિર્ભર બની શકે તે માટે પોતાની વ્યક્તિગત અરજી પીએમને કરી રહ્યા છે.
અમદાવાદ ખાતે પ્રેકટીસ કરતા એડવોકેટ અમિતભાઈ પરીખનુ કહેવુ છે કે, 'છેલ્લા ઘણા સમયથી અમારા વકીલ મિત્રોમાં આ બાબતે ચર્ચા હતી કે નોટરી એક્ટમાં સુધારો થવો જોઈએ અને નોટરી એક્ટ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે જે અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે તેમાં માત્ર મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. તે માત્ર એક ફોર્માલિટી પ્રકારનુ જ છે. તેમાં રાજકીય દબાણ અને ભલામણો પણ હોય છે. એ મુજબ રિક્રૂટમેન્ટ થતી હોય છે અને ઈન્ટરવ્યુ પણ એક પ્રકારની ફોર્માલિટી જ છે.'
અમિતભાઈએ વધુમાં ઉમેર્યુ કે અમે એક અભિયાન ચલાવી રહ્યા છે જે હેઠળ 10 વર્ષથી વધુ પ્રેકટીસ કરી હોય તેવા વકીલો કે જેઓ નોટરી તરીકે પ્રેકટીસ કરવા માંગતા હોય તેઓ સરકાર દ્વારા જે ફી નક્કી કરી હોય તે ભરીને નોટરી તરીકે પ્રેકટીસ કરી શકે. આ બાબતે ચંદ્રકાંત વાઘેલા દ્વારા એક સરસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં અમે બધા વકીલો જોડાઈ રહ્યા છે. મે પણ રાઈટ ટુ પીએમમાં અરજી કરેલ છે. મે જે અરજી પીએમઓમાં કરી હતી તે ગુજરાતના લીગલ ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવામાં આવી છે.
સરકાર આ બાબતે ચર્ચા કરી રહી હોય અને વિચારી રહી હોય તેવુ અમને જણાય છે અને આ બાબતે ચોક્કસ કોઈ સુધારો થશે અને દરેક વકીલોના હિતમાં થશે એવી અમને આશા છે. મારી ગુજરાતના તેમજ બહારના વકીલોને નમ્ર વિનંતી છે કે અમારા આ અભિયાનમાં જોડાય. દરેક વકીલોને આનાથી લાભ મળવાનો છે. 10 વર્ષથી વધુ પ્રેકટીસ કરી હોય તેવા દરેક વકીલને ફાયદો થશે અને તે આત્મનિર્ભર બનશે.
જાણો કૃષ્ણએ કોને કહ્યુ - ઇશ્વર બની જાય છે ભક્તના રક્ષા કવચ