આજે વિશ્વ વન દિવસ : આવી રીતે થાય છે ગુજરાતમાં દરરોજ ઉજવણી
21મી માર્ચ વિશ્વ વન દિન તરીકે ઉજવાય છે પણ વનનું માનવના જીવનમાં મહત્વ અને અનિવાર્યતા બંનેને સમજી સરકારે ગુજરાતમાં વિવિધ વનો ઉભા કર્યા છે. ગાંધીનગરમાં પુનિતવન, અંબાજીમાં માંગલ્યરવન, જૈન તીર્થ તારંગાજીનું તીર્થંકરવન, પાવાગઢનું વિરાસત વન, પાલીતાણાનું પાવકવન, સોમનાથનું હરિહરવન, ચોટીલાનું ભકિતવન અને શ્યામળાજીનું શ્યામલ વન, પંચમહાલમાં માનગઢનું ગોવિંદ ગુરૂ સ્મૃતિવન જેવા વનો ઉભા કરી ગુજરાતી પ્રજામાં માત્ર પર્યાવરણનું જનત જ નહિ સામાજિક અને રાષ્ટ્રીય ભકિતને પણ ચિરંજીવ બનાવવાની પ્રશંસનીય કામગીરી કરી છે.
ધર્મ, રાષ્ટ્ર , સમાજ સાથે સંકળાયેલી ઘટના અને નામોને વનો સાથે જોડી સરકારે વનના નામોને પણ ચિરકાલીન બનાવ્યાં છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જનથી જનપ્રતિનિધિ સુધી સૌના મનમાં સ્વાધ્યાય પરિવારના આઠવલે પાડુંરંગ દાદાનો જીવનમંત્ર ‘છોડમાં રણછોડ'ને સાકાર કરવાનો નેમ રોપી દીધો છે. પ્રજામાં વન માટે જનજાગૃતિ આવે તે માટે સામાજિક વનીકરણ વિભાગ રાજ્ય સરકાર અને ખાનગી બાગાયત નર્સરીઓ, બગીચાઓમાં રોપા વિતરણ રાહત દરે થાય તેમજ વનો જન ઉપયોગી બને તે માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે.
સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદના મુખ્ય. વન સંરક્ષક શ્રી ર્ડા.જગદીશ પ્રસાદ જણાવે છે કે ખેત વનીકરણ યોજના હેઠળ જો ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછા 250થી વધુ અને 2000 સુધીના રોપા લગાવવા હોય તો દર હાજર રોપાએ વનવિભાગ રૂપિયા 20,000ની સહાય કરે છે. જે તે જિલ્લાની સામાજિક વનીકરણ વિભાગની ઓફિસે અરજી કરતા વન વિભાગના કર્મચારીઓ ખેતરમાં વૃક્ષો ઉછેરવા રોપા રોપી પણ આપે છે. ત્યાતરબાદ વૃક્ષોને ઉછેરવા, કાપવા, વેચવા બધુ જ ખેડૂતોને સોંપી દેવામાં આવે છે. વન વિભાગે રોપેલા રોપના માલિક ખેડૂતો બની શકે છે.
પડતર અને ગૌચર જમીનોમાં સરકારી ખર્ચે વૃક્ષો રોપાય છે. જંગલ વિભાગની સામુહિક જમીન કે રહેણાંક જમીન જેમ કે સામાજિક શૈક્ષણિક સંસ્થા ઓ વગેરેમાં વન વિભાગને ગ્રામ પંચાયત કે જે-તે સંસ્થા દ્વારા મળતી અરજી બાદ વૃક્ષો સરકારી ખર્ચે રોપી આપવામાં આવે છે. વન વિભાગની નર્સરીઓ દ્વારા ઘર આંગણે વૃક્ષ ઉછેરવા રાહત દરે રોપા આપવામાં આવે છે. અમદાવાદમાં હાંસોલ રોડ, અસલાલી, બાવળા, નરોડા જેવી વન વિભાગની નર્સરીઓમાં રાહતદરે રોપા મળે છે. ચોમાસામાં વન મહોત્સષવ ઉજવણી દરમિયાન વધુ વૃક્ષો વાવો ઝુંબેશ હેઠળ વન વિભાગ વિના મૂલ્યે રોપા વિતરણ કરે છે.