આજે વિશ્વ પ્રકૃતિ દિવસ નિમિતે જાણીએ એક એવી જગ્યા વિશે જ્યાં તમને પકૃતિનો મેળો જોવા મળશે
કોઈ તમને પૂછે કે યલો પેંસી, બ્લેક રાજા, ગ્રાસ યલો, કોમન લાઈમ, કોમન રોઝ, કોમન પાઇરોટ, કોમન ક્રો, ફરગેટમી નોટ, ઇવનિંગ બ્રાઉન, દનાઇડ એગ ફ્લાય, ક્યુપીડ આ બધાં કોણ છે અને એમનું સરનામું કયું? તો તમે ચક્કર ખાઈ જશો.
કોઈ તમને પૂછે કે યલો પેંસી, બ્લેક રાજા, ગ્રાસ યલો, કોમન લાઈમ, કોમન રોઝ, કોમન પાઇરોટ, કોમન ક્રો, ફરગેટમી નોટ, ઇવનિંગ બ્રાઉન, દનાઇડ એગ ફ્લાય, ક્યુપીડ આ બધાં કોણ છે અને એમનું સરનામું કયું? તો તમે ચક્કર ખાઈ જશો, પરંતુ આ સવાલનો જવાબ તમને સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિધિ દવે આપી શકે. તેઓ જણાવે છે કે આ નયનરમ્ય અને અતિ નાજુક પતંગિયાઓના આ નામ છે અને તેમનું સરનામું સયાજી બાગની પાછળ અને બાળ ભવનની સામે આવેલી નર્સરી એટલે કે રોપ ઉછેર કેન્દ્ર છે, જ્યાં આ વર્ષે વિવિધ પ્રજાતિઓના બે લાખથી વધુ રોપા ઉછેરીને વનસ્પતિ ઉછેરના ચાહક વડોદરાવાસીઓને વાવેતર અને ઉછેર માટે પૂરા પાડવામાં આવ્યા છે.
કુદરતના સાનિધ્યમાં રંગોની દુનિયા
આ જગ્યાએ પતંગિયા જ નહિ પરંતુ અલગ-અલગ પક્ષીઓ, મેલ-ફિમેલ કોયલ, હોર્નબિલ જેનું ગુજરાતી નામ ચિલોતરો છે, સમડી, માથે લાલ ફૂમતું ધરાવતી બુલબુલ, પોપટ, લક્કડખોદ, બી ઇટર, ગોલ્ડન ઓરીઓલ, મેના બેબ્લર અને કાળાશ પડતા રેશમી ભૂરા રંગના વસ્ત્રો પહેર્યા હોય એવી નાનકડી પણ રૂપાળી દેવચકલી, સન બર્ડ પણ ઉપરના જ સરનામે રહે છે.
પતંગિયાનો મેળો
કહી શકાય કે અહીં પાંખાળા પક્ષી અને પતંગિયાનો રૂપેરી મેળો ભરાય છે. કરુણતા જુઓ કે કોરોનાએ તરણેતર કે રાજકોટનો સાતમ આઠમના મેળા સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં. પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી.
ફળ, ફુલ અને વૃક્ષોએ કુદરતના સાનિધ્યમાં મેળો સર્જ્યો
પક્ષીઓ અને પતંગિયાઓને આ જગ્યા જ કેમ ગમી ગઈ? તેનો જવાબ આપતાં નિધિ દવે જણાવે છે કે અમે આ સ્થળે સ્થળની શોભા વધારવા જાસૂદ, અપરાજિતા, એકઝોરા, બિલી, સરગવો, મીઠો લીમડો, કોઠી, ગળતોરા, નગોડ અને લીંબુ જેવા ફળ ફૂલના છોડ-વૃક્ષો ઉછેર્યા છે, જે તેમને કુદરતના સાધિન્યની સુખભરી સુવિધા આપે છે. તેના લીધે આ જગ્યા તેમને ગમી ગઈ છે. અહીં વેલા, છોડ અને ઘેઘૂર વૃક્ષો છે એટલે પક્ષી અને પતંગિયા સૃષ્ટિની વિવિધતા જોવા મળે છે. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા અને મદદનીશ વન સંરક્ષક શ્રી રાજગુરુના માર્ગદર્શન હેઠળ આ પક્ષી પતંગિયા ઉદ્યાનની દેખરેખ રાખવામાં આવી રહી છે.
પ્રકૃતિને નિહાળવી એ ધીરજનું કામ
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણ રૂપે આયોજનબદ્ધ રીતે બટર ફ્લાઈ ગાર્ડન વિકસાવવામાં આવ્યો છે પરંતુ અહીં તો કુદરતી રીતે વિકસ્યો છે. પક્ષી કે પતંગિયાનું નિરીક્ષણ એ ધીરજ માંગી લેતું કામ છે. ત્યાં પહોંચો એટલે આ લોકો તમને દરવાજે આવકારવા આવે એવું નથી. ધીરજ સાથે મીટ માંડીને રાહ જુવો તો જોવા મળે. કારણ કે અહીંના વીઆઇપી આ કુદરતી જીવો છે.