સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ગીરમાંથી મધ્યપ્રદેશમાં સિંહોનું સ્થળાંતર કરાશે
ન્યાયમૂર્તિ એસ રાધાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ ચંદમૌલિ કુમાર પ્રસાદની ખંડપીઠે સિંહોના સ્થળાંતર કરવા માટે સંબંધિત વન્યજીવ સત્તાવાળાઓને છ મહિનાનો સમય આપ્યો છે. હાલમાં ગુજરાતના ગીર અભ્યારણમાં લગભગ ચાર સો એશિયાઇ સિંહ છે.
ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે નામીબિયાથી આફ્રિકી ચિત્તા ભારત લાવવાની પરવાનગી આપવામાં આવી ન શકે કારણ કે જંગલી ભેંસો અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જેવી વિલુપ્ત થવાના આરે પહોંચેલી દેશી પ્રજાતિઓના સંરક્ષણને પ્રાથમિકતા આપવી જોઇએ.
વન તથા પર્યાવરણ મંત્રાલયે 300 કરોડ રૂપિયાના ચિત્તા સંરક્ષણ કાર્યક્રમ હેઠળ ભારતમાં આફ્રિકી ચિત્તા લાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ગત વર્ષે મે મહિનામાં આ પરિયોજનાને અમલમાં મુકવા પર પ્રતિબંધ મુકી દિધો છે.
એશિયાઇ સિંહોને ગુજરાતના ગીર અભ્યારણમાંથી મધ્ય પ્રદેશના પાલપુર કુનો અભ્યારણમાં મોકલવાના મુદ્દે સુનાવણી દરમિયાન જ નામીબિયાથી ચિત્તા લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ગીરના અભ્યારણમાંથી એશિયાઇ સિંહોને મધ્યપ્રદેશના અભ્યારણમાં સ્થળાંતરિત કરવાના મુદ્દે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો.
મધ્ય પ્રદેશ સરકારે ગત વર્ષે આ સિંહોને પાલપુર કુનો અભ્યારણમાં સ્થળાંતરિત કરવાનો અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ત્યાં આ પ્રજાતિ માટે અનુકૂળ વાતાવરણ પુરૂ પાડવા માટે બધી સુવિધાઓ છે.
મધ્યપ્રદેશના આ અનુરોધનો ગુજરાત વિરોધ કરી રહ્યો હતો. ગુજરાતનો તર્ક હતો કે આ રાજ્ય પન્ના અભ્યારણમાં વાધોને સુરક્ષિત રાખી શક્યું નથી તો આવી સ્થિતીમાં સિંહ સુરક્ષિત રહી શકશે નહી.
ગુજરાત સરકારની દલીલ હતી કે તેની પાસે સિંહોના સંરક્ષણ માટે પર્યાપ્ત સંસાધન અને ઇચ્છાશક્તિ છે અને આવી સ્થિતીમાં તેને સ્થળાંતરિત કરવા યોગ્ય નથી. ગુજરાતનું કહેવું હતું કે લગભગ વિલુપ્ત થઇ ચુકેલા દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓને કૂનો પાલપુર અભ્યારણમાં સ્થળાંતરિત કરવા જોઇએ અને યોગ્ય પ્રયાસો બાદ જ ધીરે-ધીરે આ સિંહોને અભ્યારણમાં સામેલ કરવા જોઇએ.
આફ્રિકન ચિત્તાઓને ભારત લાવવાના પ્રસ્તાવને અનેક પર્યાવરણવિદ વિરોધ કરી રહ્યાં છે. તેમનો તર્ક છે કે આ પરિયોજનાને મંજૂરી આપવા માટે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી.
એશિયાઇ ચિત્તા 1950માં દેશમાંથી વિલુપ્ત થઇ ગયા હતા. વન અને પર્યાવરણ મંત્રાલયે જુલાઇ 2010માં ભારતમાં આફ્રિકન ચિત્તાને લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
એશિયાઇ સિંહોને ખસેડવાના મુદ્દા પર ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારો આમને-સામને આવી ગઈ હતી. આ અંગે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. મધ્યપ્રદેશ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કુનો પાલપુર અભ્યારણ્યમાં સિંહોના પુનઃવસન માટે અને પુનઃસ્થાપન માટે પૂરતી વ્યવસ્થા છે. મધ્યપ્રદેશમાં સિંહોના વસવાટ માટે માળખું, પર્યાવરણીય નિપુણતા સહિતની બાબતોમાં તૈયારી થઈ ગઈ છે.
ઈન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચરના કહેવા પ્રમાણે, ગીરમાં વસતા એશિયાઈ સિંહોનાં અસ્તિત્વ પર જોખમ છે. તેમને કુનો ખસેડવા જોઈએ, કારણ કે ગુજરાતના એક છેવાડાના સ્થળમાં બહુ થોડી જગ્યામાં બહુ થોડી સંખ્યામાં સિંહો વસે છે. કોઈપણ રોગચાળાના સંજોગોમાં સમગ્ર પ્રજાતિ પર જોખમ ઊભું થઈ શકે છે.