ટ્રસ્ટી પી કે લહેરી દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં લાખો રૂપિયાના કૌભાંડનો ખુલાસો
અમદાવાદ, 8 જૂન : કળયુગમાં લોકો ભગવાન કે ભગવાનના નામને પણ વટાવવાનું બાકી રાખતા નથી ત્યારે ભગવાનના મંદિરમાં કૌભાંડો થવાની વાત નવી નથી. ગુજરાત માટે ગર્વ સમાન એવા પુરાણો અનુસાર પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ હવે કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. સોમનાથ ટસ્ટ્રમાં લાખોનું કૌભાંડ થયું હોવાનો ખુલાસો ખુદ ટસ્ટ્રી પી.કે. લહેરીએ કર્યો છે. કૌભાંડના ખુલાસો બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ મંદીરનાં ટ્રસ્ટી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ છે. આમ છતાં મંદિરમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે.સોમનાથ મંદિરના ટ્રસ્ટીએ મંદિર ટ્રસ્ટમાં થતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પી.કે. લહેરીના જણાવ્યા પ્રમાણે મહેશ્વરી ગેસ્ટ હાઉસમાં જે ઇલેકટ્રીક સીસ્ટમ ફિટ કરવામાં આવી છે તેમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમમાં પણ લાખોની ઉચાપત કરવામાં આવી છે.
આ ઉપરાંત મંદિર ટ્રસ્ટના કબ્જામાં હોય તેવી ઘણી ચીજવસ્તુઓ સારી સ્થિતિમાં હોવા છતાં તેને બદલાવી હોવાનાં બહાના કરી ખોટા બિલો રજુ કરાયા છે.તેમજ ઇલેકટ્રિક ડિપાર્ટમેન્ટમાં કોઇપણ પરવાનગી વગર કામ કરાયા હોવાનો ખુલાસો પી.કે. લહેરીએ કર્યો છે.
કૌભાંડના ખુલાસાના પગલે તમામ વિભાગોમાં શું કામ કરાયું તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટના સ્ટોર શાખાના અધિકારીનું કૌભાંડ બહાર આવતા બદલી કરી દેવામાં આવી છે. આ કૌભાંડ ખુલતાની સાથે સોમનાથ મંદિરના ઇલેકટ્રિક ઇજનેરે રાજીનામું આપ્યું છે. જો કે તપાસ પૂર્ણ ન થાય ત્યાંસુધી તેમનું રાજીનામું સ્વીકારાશે નહીં.
આ દિશામાં વધારે ઉંડાણથી તપાસ કરવા માટે તેમજ આ કૌભાંડની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ અંગે 8 થી 9 તારીખ સુધીમાં તપાસ પૂર્ણ કરાશે અને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
ભાવિકો દ્વારા મંદિરમાં લાખોનું દાન આપવામાં આવે છે. ત્યારે કેટલાક લેભાગું લોકો દાનમાં આવેલી રકમને પણ છોડતા નથી. જેનું સોમનાથ મંદિર ટ્રસ્ટમાં થયેલું કૌભાંડ મોટો પુરાવો છે. સ્થાનિક લોકો અને સોમનાથ બાબાના ભક્તો આવા તત્વો સામે આકરા પગલા ભરાય તેમ ઇચ્છે છે.