આજે બ્રિટનના વિદેશ મંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે
તેઓની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે વર્ષ 2002માં થયેલા ગોધરા રમખાણો બાદ બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમરૂનની સરકારે નરેન્દ્ર મોદીની સરકાર સાથેનો સંબંધ તોડી કાઢ્યો હતો. હ્યુગો સ્વાયરની મુલાકાત બાદ આ સંબંધો ફરી પ્રસ્થાપિત થશે એમ માનવામાં આવી રહ્યું છે.
બ્રિટને ગુજરાત સાથેના સંબંધ પુન:પ્રસ્થાપિત કરવા જોઇએ તેવો વિચાર સૌપ્રથમવાર ઓક્ટોબર 2012માં કર્યો હતો. તે સમયે હ્યુગો સ્વાયરે બ્રિટિશ હાઇ કમિશનર જેમ્સ બેવનને નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરવા માટે મોકલ્યા હતા.
ત્યાર બાદ જાન્યુઆરી 2013માં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં બ્રિટને ભાગ લીધો હતો. આ સમિટમાં બ્રિટને ગુજરાતના વિકાસના ભરપેટ વખાણ કર્યા હતા. આ ઉપરાંત જેમ્સ બેવને એમ પણ જણાવ્યું કે તેઓ ગુજરાત આવીને ગુજરાતના પુત્ર હોય તેવું અનુભવી રહ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોતાની મુલાકાત દરમિયાન સ્વાયર ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ કેટલીક એનજીઓને મળે એવી શક્યતા છે. નોંધપાત્ર બાબત છે કે વર્ષ 2002ના રમખાણોમાં સાબરકાંઠાના પ્રાંતિજ પાસે બે બ્રિટિશ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસની ટ્રાયલમાં બે બ્રિટિશ રાજદ્વારીઓને સાક્ષી તરીકે બોલાવાયા હતા. જો કે આ કેસનો ચૂકાદો આવવાનો હજી બાકી છે.