ઉના દલિત કેસ: આનંદીબેનની હાજરીમાં સર્જાયા આવા કરુણ દ્રશ્યો
ઉનામાં દલિતો પર થયેલા અત્યારચારનો ગુજરાત અને દેશભરમાં ધેરા પ્રતિસાદ પડ્યો છે. બુધવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉનાના સમઢીયાળામાં આ દલિત પરિવારને મળ્યા હતા ત્યારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. દલિતોએ સીએમ આનંદીબેનની આ ધટનામાં સહાય નહીં પણ ન્યાયની અપેક્ષા કરી હતી. તો સામે પક્ષે આનંદીબેન પણ ગળગળા થઇ ગયા હતા અને તેમણે આ ધટનામાં ત્વરીત ન્યાય અને કડકમાં કડક સજા આપવાની વાત કરી હતી.
નોંધનીય છે કે મંગળવારે જ્યાં આ ધટનામાં રાજ્યમાં 7થી વધુ લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યાં જ ઠેર ઠેર ચક્કાજામ કરી બસનો કાચ તોડવા અને આગચાંપીના બનાવો બન્યા હતા. જે સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. દલિત પેન્થર દ્વારા આજે જ્યાં ગુજરાત બંધના એલાન કરવામાં આવ્યું છે ત્યાં જ અમદાવાદ અને જૂનાગઢમાં આજે પણ બસના કાચ તોડવાની અને રાજ્યમાં કેટલીક જગ્યાએ રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવ્યું છે.
આ કારણે રાજકોટ અને અમદાવાદમાં બીઆરટીએસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યા છે. તો અમદાવાદમાં કેટલીક સ્કૂલો અને કોલેજોએ બંધના પગલે રજા આપી છે. "જય ભીમ"ના નારા સાથે ઉનામાં પણ સજજ્ડ બંધ પાળવામાં આવ્યો છે. ત્યારે શું છે આ મુદ્દો, અત્યાર સુધી તેમાં કેવી કેવી નવી અપટેડ થઇ છે તે અંગે તમામ જાણકારી મેળવો અહીં...
આનંદીબેન મળ્યા દલિતોને
નોંધનીય છે કે મુખ્યમંત્રી આનંદીબેન આજે ઉનાના દલિતોને મળ્યા હતા ત્યારે દલિતો પર થયેલા હત્યાચારની વાત સાંભળીને મુખ્યમંત્રી સમતે ત્યાં હાજર કેટલાક લોકો રડી પડ્યા હતા. આનંદીબેન દલિતોને આ અંગે ત્વરિત ન્યાય અને સહાયની બાહેંધરી આપી હતી. સાથે જ એક મહિના પછી પાછું સ્થિતિ અંગે ભાળ નીકાળવાનું વચન આપ્યું હતું.
"જય ભીમથી અમદાવાદ ગૂંજ્યું"
તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારથી જ દલિત સમાજના લોકો જય ભીમ અને થાળી વેલણ ના અવાજ સાથે આ વાતનો વિરોધ દર્શાવવા રસ્તા પર ઉમટી પડ્યા હતા. અમદાવાદના અમરાઇવાડીમાં પણ મહિલાઓએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. જે બાદ પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરતા પોલિસે ટિયરગેસના સેલ છોડ્યા હતા
સંસદમાં પણ ઉઠ્યો ઉના મુદ્દો
આજે સવારે રાજ્યસભા શરૂ થતા જ માયાવતીએ સંસદમાં ઉના મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ 10 મિનિટ માટે રાજ્યસભા સ્થગિત કરવામાં આવી હતી. એટલું જ નહીં લોકસભામાં પણ ઉના મુદ્દાના ધેરા પ્રત્યાધાતો પડ્યા હતા.
આનંદીબેન પછી રાહુલ અને કેજરી પણ
એટલું જ નહીં આજે જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉનાના દલિતોને મળ્યા હતા ત્યાં જ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આવનારા સમયમાં દલિતોનો હાલ જાણવા માટે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પણ આવશે તેવી માહિતી મળી છે.
દલિતોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
નોંધનીય છે કે આ ધટનાના પગલે અત્યાર સુધીમાં 7થી વધુ લોકોએ ઝેર કાં તો એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગોંડલમાં 5 લોકોએ અને મંગળવારે જૂનાગઢના બાંટવામાં 3 દલિત યુવાનોએ આ ધટનાના પગલે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાતમાં આક્રોશ
એટલું જ નહીં મંગળવારથી આજ સવાર સુધી રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ગોંડલ જેવા અનેક વિસ્તારોમાં દલિત સમાજે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે એસટી બસ પર પથ્થરમારો અને રસ્તા જામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત બંધ
આજે આ મામલે દલિત પેન્થર દ્વારા રાજ્યભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. જે બાદ ઉનામાં સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યો છે. અને સાથે જ રાજકોટ, જેતપુર, ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં બંધની અસર દેખાય છે. અમદાવાદમાં સ્કૂલો અને કોલેજોને પણ રજા આપવામાં આવી છે. સાથે જ પોલિસે પણ સ્થિતિની ગંભીરતાને જોતા ચાંપતો બંદોવસ્ત કર્યો છે.
શાંતિની અપીલ
મુખ્યમંત્રી આનંદીબેને લઇને બસપા સુપ્રીમો માયવતી અને ઉનાના દલિત પીડિતોએ પણ રાજ્યભરના દલિતોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની માંગ કરી છે.