ગુજરાતમાં માવઠાનો માહોલ, આ જિલ્લાઓ પર વધારે જોખમ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને અનેક જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. મહેસાણાના વિસનગર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડતા ઠંડીના જોરમાં પણ વધારો જોવા મળ્યો છે.

કચ્છના નારાયણ સરોવર અને પાનધ્રો સહિત બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. થરાદ અને વાવ પંથકમાં વરસાદી માહોલ જામતા તાપમાનમાં ઘટાડો થયો છે અને જનજીવન પર તેની અસર જોવા મળી છે.
માવઠાના કારણે રાયડો, જીરું અને ઈસબગુલ જેવા શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ખેતરમાં કાપણી કરીને તૈયાર રાખેલા ઘઉં અને એરંડાના પાકને નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગુરુવારે મોડી સાંજે મહેસાણા અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઠંડી વચ્ચે પડેલા આ વરસાદની અસર પડોશી રાજ્ય રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ માવઠા બાદ રાજ્યમાં હજુ પણ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગે બનાસકાંઠા અને પાટણ સહિતના વિસ્તારો માટે કમોસમી વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. ડાયરેક્ટર એ.કે. દાસના મતે ૨૬ જાન્યુઆરી સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.












Click it and Unblock the Notifications
