ઉતરાયણના દિવસે કઈ દિશાનો હશે પવન? જાણો પતંગ માટે કેવો રહેશે માહોલ?
ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે પતંગરસિકો માટે હવામાન વિભાગ તરફથી ખુશખબર સામે આવ્યા છે. આ વર્ષે પતંગબાજી માટે કુદરત પણ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસે પતંગ ચગાવવા માટે સાનુકૂળ પવન ફૂંકાશે.

વહેલી સવારે ધાબા પર પહોંચનારાઓ માટે પવનની ગતિ શરૂઆતમાં ધીમી રહી શકે છે. જો કે, સવારે ૧૦ વાગ્યા પછી પવનની ઝડપમાં વધારો થશે. બપોર બાદ પવનનું જોર પતંગબાજી માટે યોગ્ય માહોલ સર્જશે, જે પતંગરસિકોને મોડી સાંજ સુધી પેચ લડાવવાની મજા આપશે.
અમદાવાદ શહેર માટે પવનની સરેરાશ ગતિ ૭ થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. આ વર્ષે પવન વિના નિરાશ નહીં થવું પડે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં સરેરાશ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પતંગબાજીના નિષ્ણાતો ૭ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને પતંગ ચગાવવા માટે એકદમ યોગ્ય માને છે, જે આ વર્ષે મળવાની પૂરેપૂરી સંભાવના છે.
૧૪ જાન્યુઆરીએ અમદાવાદ સહિત ગુજરાત રિજિયનમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવનની દિશા લગભગ સમાન જ રહેશે. ૧૫ જાન્યુઆરીએ પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
