વંદે ગુજરાત વિકાસ યાત્રા સરકારની યોજનાથી વાકેફ કરશેઃ મનિષા વકીલ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનીષા વકીલના હસ્તે કરવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનીષા વકીલના હસ્તે કરવામાં આવ્યો હતો. કુમારીકાઓના હસ્તે કુમકુમ તિલકથી રથનું પૂજન કર્યા બાદ વંદે ગુજરાત વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંત્રી મનિષા વકીલ અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને ઉદ્બોધન કરતાં રાજ્ય મંત્રી મનિષા વકીલે જણાવ્યું હતુ કે, પ્રજાના કલ્યાણ, ઉત્થાન અને ઉત્કર્ષ માટે છેલ્લા ૨૦ વર્ષમાં સરકારે જે નિર્ણયો લીધા છે અને કામો કર્યા છે, તે તમામને આ રથમાં લગાવેલી LED સ્ક્રીન દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવશે.
સરકારની હિતકારી યોજનાના લાભોથી જે લોકો વંચિત છે, તેવા લોકોને યોજના અને તેમના લાભો વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી રથમાં લગાવવામાં આવેલી LED સ્ક્રીન પર પ્લે થતી ટૂંકી ફિલ્મથી મળશે.
વડોદરા મનપાના કાઉન્સિલરોને મંત્રી મનિષા વકીલે અપીલ કરી હતી કે, જ્યારે આ રથ તેમના વોર્ડમાં આવે ત્યારે તેઓ રથનું સ્વાગત કરીને લોકોને વોર્ડમાં શું કામ થયા છે, હાલ થઇ રહ્યા છે અને થવાના છે, એ તમામ માહિતી લોકોને આપે.
આ પ્રસંગે ધારાસભ્ય સીમાબેન મોહિલે, વડોદરા મનપામાં શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચીયા, દંડક ચિરાગ બારોટ, વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિજય શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વુડાના ચેરમેન, વડોદરા મ્યુનિસિપલ કમીશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મનપા કમિશનર, કાઉન્સિલરો, પદાધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.