મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણી માટે વિધાનસભામાં ઠરાવ રજુ કર્યો
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ્ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા અવસરે ઐતિહાસિક સંકલ્પ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, પરંતુ ભારત માતાની ભક્તિનું પ્રતિક છે જે ક્યારેય અપ્રસ્તુત નહીં થાય.
પીએમ મોદીની પ્રેરણાથી દેશભરમાં આ ગૌરવશાળી વર્ષની ઉજવણી થઈ રહી છે, જે વિકસિત ભારતના નિર્માણ માટે નવી ઉર્જા પૂરી પાડશે. આ ગીતની દરેક પંક્તિમાં રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ભાવ છુપાયેલો છે જે પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુલામીના કાળમાં પણ વંદે માતરમ્ સ્વતંત્રતાના આંદોલનનું મુખ્ય બળ બન્યું હતું અને આજે પણ તે એટલું જ પ્રાસંગિક છે. અમૃત કાળમાં આ ગીત આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે દેશવાસીઓમાં નવો જોશ અને દેશપ્રેમ જગાડવાનું કામ કરશે.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1875માં રચાયેલું આ ગીત જન-જનમાં આત્મવિશ્વાસ પેદા કરી અશક્ય લક્ષ્યોને હાંસલ કરવાની શક્તિ આપે છે. બ્રિટિશ શાસન દરમિયાન આ ગીત ગાવા પર પ્રતિબંધ હતો, તેમ છતાં ક્રાંતિકારીઓએ હસતા મુખે ફાંસી સ્વીકારી આ મંત્ર ગુંજતો રાખ્યો હતો.
મુખ્યમંત્રીએ વંદે માતરમ્ ગીતને અસ્ત્ર-શસ્ત્ર ધારિણી માં દુર્ગા અને સમૃદ્ધિ આપતી માં લક્ષ્મીના સ્વરૂપની ભક્તિ વંદના તરીકે ઓળખાવ્યું હતું. વર્ષ 1950માં બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રગાનની સમકક્ષ દરજ્જો આપીને દેશના મહાન સપૂતોના બલિદાનને યોગ્ય સન્માન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક ચેતનાનો પુનરુત્થાન થયો છે અને 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના વધુ પ્રબળ બની છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પીએમ મોદીની કાવ્ય રચના ટાંકીને જણાવ્યું કે વંદે માતરમ્ એ આપણી આન, બાન અને શાનનું પ્રતિક છે.












Click it and Unblock the Notifications
