
ગૌરવ ગુજરાત અભિયાન અતર્ગત આદિવાસી વિસ્તારમાં મોદી કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે 10 જૂનના રોજ આવી રહ્યા છે. આ પ્રવાસમાં નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ લોકાર્પણ અને ભૂમિ પુજન તેમના દ્વારા કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી દ્વારા ગુજરાત ગૌરવ અભિયાનનો પ્રરંભ કરવામાં આવશે મોદી દ્વારા આદિવાસી વિસ્તારોમાં 3,54 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
૧૦ જૂને નવસારીના ખૂડવેલ ખાતે રૂા.૩,૦૫૪ કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં વિવિધ વિકાસ કામો અંતર્ગત ૭ યોજનાઓના લોકાર્પણ, ૧૨ યોજનાઓના ખાતમુહૂર્ત અને ૧૪ યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવનાર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના ૧૭૪ ગામોના ૧,૦૨૮ ફળિયાઓના આશરે ૮.૧૩ લાખ નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે માટે બલ્ક પાઇપ લાઇન, શુદ્ધિકરણ પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન અને આનુષાંગિક કામો વાળી પાણી પુરવઠા ઈજનેરી કૌશલ્યની અજાયબી એવી મધુબન ડેમ આધારિત રૂા.૫૮૬.૧૬ કરોડની અસ્ટોલ જૂથ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના તમામ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવા માટે 'જલ જીવન મિશન'ની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે આદિવાસી વિસ્તાર સહિત ગુજરાતના ૯૫ ટકાથી વધારે ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે રૂા.૧૬૩ કરોડની નલ સે જલ યોજનાઓનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. જેના થકી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના ગામોના ૧૬.૫૧ લાખ નાગરિકોને ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
આ ઉપરાંત તાપી જિલ્લાના ૨.૭૭ લાખ નાગરિકોને વીજળી પૂરી પાડવા રૂા.૮૫.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ વીરપુર વ્યારા સબસ્ટેશનનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ સિવાય વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ગંદા પાણીના શુદ્ધિકરણ માટે રૂા.૨૦.૩૦ કરોડનો ૧૪ એમએલડી ક્ષમતા ધરાવતો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી વાપી શહેરના અંદાજે ૧.૮૦ લાખ નાગરિકોને શુદ્ધ પાણીનો લાભ મળશે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના ૧૧.૨૯ લાખ આદિજાતી નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૫૪૯.૨૬ કરોડની ૮ પાણી પુરવઠા યોજનાનું પણ વડાપ્રધાનશ્રી ખાતમુહૂર્ત કરશે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી બાંધવો માટે શ્રેણીબદ્ધ વિકાસ કામોની વણઝારના ભાગરૂપે નવસારી જિલ્લામાં રૂા.૩૩ કરોડના ખર્ચે તૈયાર થનાર ખેરગામથી પીપલખેડ સુધીના પહોળા રસ્તાની સુવિધાનો લાભ ૩.૭૫ લાખની આદિવાસી વસતી તેમજ રૂા.૨૭ કરોડના ખર્ચે તૈયાર થનાર નવસારીથી બારડોલી વાયા સુપા ખાતે ફોર લેન રસ્તાનો લાભ ૩.૯૮ લાખ વસતીને મળશે. તમામને ઘરઆંગણે ઝડપી-સસ્તી સારવાર મળી રહે તેવા હેતુથી નવસારી જિલ્લામાં રૂા.૫૪૨.૫૦ કરોડના ખર્ચે ટીચીંગ હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજનું વડાપ્રધાન મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે. જેનો લાભ નવસારી જિલ્લાનાં ૧૦ લાખ નાગરિકોને મળશે. આ ઉપરાંત તાપી, નવસારી અને સુરત જિલ્લાના આદિજાતિ બાંધવો માટે રૂા.૯૬૧.૪૦ કરોડની ૧૩ પાણી પુરવઠા યોજનાનું પણ વડાપ્રધાન સહિત મહાનુભાવોના હસ્તે ભૂમિપૂજન થશે જેનો આ જિલ્લાના ૧૪.૪૮ લાખ લોકોને લાભ મળશે.