વાઈબ્રન્ટ ગુજરાતઃ જાન્યુઆરી 2019માં મહાત્મા મંદિરમાં 8મી વાઈબ્રન્ટ સમિટ યોજાશે
ગુજરાતમાં મૂડી રોકાણ વધારવા અને ઔદ્યોગિક પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતમાં મૂડી રોકાણ વધારવા અને ઔદ્યોગિક પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. આગામી વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરીમાં આઠમી વાર વાઈબ્રન્ટ સમિટ યોજાશે. આ વાઈબ્રન્ટ સમિટ વર્ષ ૨૦૧૯માં ૧૮,૧૯ અને ૨૦ જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજવામાં આવશે. જેમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે.

ત્રણ દિવસ યોજાશે વાઈબ્રન્ટ સમિટ
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી વાઇબ્રન્ટ સમિટની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત આજે તમામ ક્ષેત્રોમાં રોલ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે વાઈબ્રન્ટ સમિટ દ્વારા રાજ્ય સરકાર તમામ ક્ષેત્રના ઉદ્યોગો અને તેના ઉત્પાદકોને ફાસ્ટ ટ્રેકની સુવિધા આપી પ્રોત્સાહિત કરી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વાયબ્રન્ટ સમિટ દ્વારા આજે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે હબ બની ગયું છે. વર્ષ ૨૦૧૯ની ૧૮,૧૯ અને ૨૦ જાન્યુઆરી એમ કુલ ત્રણ દિવસ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી.

125થી વધુ ડેલિગેશન ભાગ લેશે
આગામી જાન્યુઆરી 2019માં યોજાનાર આ ત્રિ દિવસીય વાઈબ્રન્ટ સમિટમાં ૧૨૫થી વધારે હાઈ પાવર ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવશે. તેમાં લગભગ તમામ સેક્ટરમાં વિવિધ દેશોના આ હાઈ પાવર ડેલીગેશન ધ્વારા ઇન્વેસ્ટમેન્ટ અંગેના એમઓયુ કરવામાં આવશે. ગુજરાત સરકારે પણ આ સમિટને સફળ બનાવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

કુંભ મેળો અને ભારતીય પ્રવાસી દિવસને ધ્યાનમાં રાખી આયોજન
આગામી વાઈબ્રન્ટ સમિટનું આયોજન ઉત્તર પ્રદેશમાં યોજાનાર કુંભ મેળા અને વારાણસીમાં યોજાનાર ભારતીય પ્રવાસી દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. વારાણસીમાં 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત 14 જાન્યુઆરી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને 18 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

સાત વાઈબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક થઇ છે પૂર્ણ
તત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. ગુજરાતમાં આજસુધીમાં સાત જેટલી વાઈબ્રન્ટ સમિટ સફળતાથી પૂર્ણ થઈ છે. પરંતું, જે સમિટમાં એમઓયુ થયા હતા કે, તેના આંકડા બહાર આવતાં રહ્યા તેના પ્રમાણમાં રોકાણકારો વાસ્તવિક રોકાણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

વાઈબ્રન્ટ સમિટ રાજ્ય સરકારની પબ્લિસિટી સ્ટંટ
ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા રાજ્ય સરકારના ખર્ચે ત્રણ દિવસ સુધી મોટા પાયે ધૂમ ખર્ચ કરવામાં આવે છે. વિદેશી અને સ્થાનિક રોકાણકારોને અદ્યતન સુવિધા આપવામાં આવે છે. પરંતું, તેના પ્રમાણમાં જે ફાયદા થવા જોઈએ કે, રોજગારીની તકો ખુલવી જોઇએ તે ઉભી થતી નથી. એક રીતે, રાજ્ય સરકાર પર વાઈબ્રન્ટ સમિટ પબ્લિસિટી માટેના સ્વાંગથી વિશેષ કંઇ ન હોવાનો આક્ષેપ થતો રહ્યો છે.

સમિટને અનુલક્ષીને ભવ્ય હોટલનું નિર્માણ
ત્યારે, આ વખતે ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરી 2019 પહેલાં કેપિટલ રેલવે સ્ટેશન પર 65 મીટરની ઉંચાઈની ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. 250 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ હોટલ રેલવે ટ્રેક પર બનનારી વિશ્વની પ્રથમ હોટલ છે. હોટલમાં છ, આઠ અને દસ માળના ટાવર બનાવીને તેને મહાત્મા મંદિર સાથે જોડવામાં આવશે.












Click it and Unblock the Notifications
