કરુણા અભિયાન: વિજય રૂપાણીએ લીધી વાઇલ્ડ લાઇફ સેન્ટરની મુલાકાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાઇલ્ડ લાઇફ કેરની મુલાકાત લઇ કરુણા અભિયાનની કામગીરી નીહાળી. સાથે જ ખાડિયા ખાતે પતંગ ઉત્સવની પણ મજા માણી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ઉતરાયણ પર્વે નિમિત્તે અમદાવાદના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અને ધરણીધર ખાતે "નમો નમ સંસ્થા" દ્વારા ઘાયલ પક્ષીના સારવાર કેન્દ્રની પ્રવૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે વિજયભાઇ રૂપાણીએ જીવમાત્ર પ્રત્યે સંવેદના દર્શાવતાં ઉતરાયણના તહેવારોમાં પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી-જાગૃતિ માટે ૧૦ થી ર૦ જાન્યુઆરી ર૦૧૭ દરમિયાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન ઉપાડયુ છે.
આ અભિયાન હેઠળ રાજ્યભરનાતમામ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તથા જિલ્લા કલેક્ટરશ્રીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ અને રાજ્યભરમાં પથરાયેલ વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘન પણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજિત ઢબે હાથ ધરવામાં આવી છે.
જાણો ઉત્તારાયણનું ધાર્મિક મહત્વ, જાણો ધર્મ શું કહે છે...
આ અભિયાન હેઠળ આવાં ઘાયલ પક્ષીઓની સારવાર-સુશ્રુષા રાજ્યના વન પર્યાવરણ વિભાગ સહિતના વિભાગો, સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી કરી રહ્યા છે. આ સંદર્ભે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બર્ડ ફ્લુ અંગે સાવચેતીના પગલાં લેવા તંત્રને તાકીદે સૂચના આપી છે અને જરૂરી પગલાં પણ રાજ્ય સરકારે લીધા છે.
વધુમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાડિયા ખાતે નગરજનો વચ્ચે ઉત્તરાયણ પર્વ મનાવ્યો હતો. અને સાથે મકરસંક્રાંતિના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રજાજનોને મકર સંક્રાંતિ પર્વેની પ્રજાજનોને શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે "ઉત્તરાયણ ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે. આજે પતંગ આકાશને આંબે છે તેમ ગુજરાત પણ વિકાસની ઉંચાઇઓ સર કરશે"
ત્યારે આ પ્રસંગે મંત્રી નિર્મલાબેન વાધવાણી, અમદાવાદના મેયર શ્રી ગૌતમભાઇ શાહ, ખાડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભૂષણ ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટરો, નગરજનો ઉત્તરાયણ પર્વમાં સહભાગી થયા હતા.