BMW હિટ એન્ડ રન :'સલમાનખાનને જામીન મળે તો વિસ્મય શાહને કેમ નહીં'
24 માર્ચના રોજ અમદાવાદના જજીસ બંગલાથી માનસી સર્કલ તરફ જતી વખતે એક બાઇક અને બીએમડબ્લ્યુ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચલાવનાર યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્યનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાનો આરોપી વિસ્મય શાહ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. જેના વકીલ દ્વારા આજે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
વિસ્મય શાહના વકીલ એસ. વી રાજુએ કોર્ટમાં જામીન અરજી દાખલ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'તેમણે વિસ્મય શાહને જામીન આપવા માટે ન્યાયાધીશને વિનંતી કરી છે અને મારી દલિલમાં જણાવ્યું છે કે આ બેદરકારીનો ગૂનો બનતો હોવાથી વિસ્મય શાહને જામીન મળવા જોઇએ. ઉપરાંત બંને યુવકો બાઇક લઇને રોંગ સાઇડમાં હેલ્મેટ પહેર્યા વગર આવી રહ્યા હતા જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.'
તેમણે જણાવ્યું કે 'જો સલમાનખાન દ્વારા કરવામાં આવેલા હિટ એન્ડ રન કેસમાં તેને જામીન મળી શકતા હોય તો વિસ્મય શાહને કેમ ના મળી શકે. વિસ્મયને પણ જામીન મળવા જોઇએ.'
જ્યારે ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું કે વિસ્મયે આ અકસ્માત સર્જ્યો એની પહેલા એક કારને પણ ટક્કાર મારી હતી. માટે તેને ખબર હતી કે આટલી સ્પિડમાં કાર ચલાવવાથી કોઇનો જીવ પણ જઇ શકે છે. કાયદા પ્રમાણે તેની સ્પિડ 60 કરતા વધારે હોવાથી તે ગૂનેગાર બને છે માટે તેને જામીન મળવા જોઇએ નહીં.
ડો અમિત શાહ સામે પણ ગુનો દાખલ
નોંધનીય છે કે, 24 ડિસેમ્બર રવિવારે રાત્રે જજીસ બંગલો પાસે થયેલા આ હિટ એન્ડ રન કેસના બીજા દિવસે મુખ્ય આરોપી વિસ્મય શાહના પિતા ડો. અમિત શાહે એક નિવેદન આપ્યું હતું કે એ રાત્રે તેમનો પુત્ર વિસ્મય શાહ કાર નહોતો ચલાવી રહ્યો પરંતુ તેમનો ડ્રાઇવર સુધીર કાર ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમણે આ જ પ્રકારનું નિવેદન પોલીસ સમક્ષ પણ કર્યું હતું. જો કે, આ વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પોલીસ સમક્ષ હાજર થઇ ગયેલા વિસ્મય શાહે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે કાર તે પોતે જ ચલાવી રહ્યો હતો. પોલીસે વિસ્મયનું નિવેદન નોંધી તેના પિતા સામે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો બીએમડબલ્યું કાંડ?
જજીસ બંગલોથી માનસી રોડ તરફ જતા માર્ગ પર આ અકસ્માત નોંધાયો છે. રાત્રે ચાર મિત્રો બે બાઇક પર જઇ રહ્યાં હતા. ત્યારે એક બેકાબુ બીએમડબલ્યુ કાર તેમની પાછળ આવી પહોંચી હતી અને બેમાંથી એક બાઇકને અડફેટે લીધી હતી. કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક કાબુ ગુમાવી બેઠો હતો અને તેઓ નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બન્યા બાદ તુરત જ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં શિવન નામના યુવાનનું મોત નિપજ્યું હોવાનું હાજર ડોક્ટરે જણાવ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ રાહુલ નામના એ યુવાનનું પણ ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું.
સલમાન ખાન હિટ એન્ડ રન કેસ
આપને જણાવી દઇએ કે આ નિર્ણય મુંબઈની લોઅર કોર્ટનો છે. હિટ એન્ડ રન કેસ વર્ષ 2002નો છે. પીટીઆઈના જણાવ્યા મુજબ કોર્ટે ગુરુવારે સરકારની તે અપીલ સ્વીકારી લીધી કે જેમાં સરકાર તરફથી કહેવાયું છે કે સલમાન ખાને બેદરકારીપૂર્વક ગાડી ચલાવી હતી કે જેથી ફુટપાથ પર સૂતા લોકો મોતના ભોગ બન્યા હતાં.