સમયસર SIR ફોર્મ ન ભરાયા તો શું? જાણો શું કહ્યું ઈલેક્શન કમિશને?
મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) કાર્યક્રમની 4 ડિસેમ્બરની અંતિમ તારીખ નજીક છે. સમયસર ફોર્મ ન ભરાય તો નામ રદ થવાની ચિંતા અનેક નાગરિકોને સતાવે છે. જો કે, ચૂંટણી પંચે આ અંગે સ્પષ્ટતા કરી છે: ગભરાવાની કે દંડ ભરવાની જરૂર નથી. મતદારોને જાન્યુઆરી 2026 સુધીના 'દાવા અને વાંધા' (Claims and Objections) સમયગાળા દરમિયાન નામ ઉમેરાવવાની બીજી તક મળશે.

લાખો મતદારોએ હજુ SIR ફોર્મ ભર્યા નથી. પંચે સ્પષ્ટ કર્યું કે 4 ડિસેમ્બરની સમયમર્યાદા માત્ર એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. જો વ્યક્તિ કે બૂથ લેવલ ઓફિસર (BLO) આ સમયમાં ફોર્મ સબમિટ ન કરી શકે, તો કોઈ કાનૂની કાર્યવાહી કે આર્થિક દંડ લાગુ પડશે નહીં. ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું કે આ પ્રક્રિયા હજી સમાપ્ત થઈ નથી.
9 ડિસેમ્બરે ચૂંટણી પંચ 'ડ્રાફ્ટ મતદાર યાદી' જાહેર કરશે. નાગરિકોએ સૌ પ્રથમ આ યાદીમાં પોતાનું નામ ચકાસવું જોઈએ. જો નામ હોય તો કોઈ ચિંતા નથી; પરંતુ નામ ન મળે તો ગભરાશો નહીં. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ જાન્યુઆરી 2026 સુધી 'દાવા અને વાંધા' સ્વીકારાશે. આ સમય દરમિયાન તમે તમારી વિગતો ફરીથી સબમિટ કરી શકશો.
જો તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય, તો ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ અથવા 'Voter Helpline App' દ્વારા તમે ફોર્મ 6 ભરી શકો છો. આ ફોર્મ ખાસ કરીને નવા મતદારો કે જેમનું નામ અગાઉની પ્રક્રિયામાં છૂટી ગયું હોય તેમના માટે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને સરળ છે.
જૂના મતદારો જેમનું નામ અગાઉ હતું પણ SIR દરમિયાન સંપર્ક ન થયો, તેમને ચૂંટણી નોંધણી અધિકારી (ERO) નોટિસ મોકલી શકે છે. નોટિસ મળ્યે, સંબંધિત અધિકારી સમક્ષ હાજર રહી યોગ્યતા તથા રહેઠાણના પુરાવા રજૂ કરવા પડશે. જો તમે 9 ડિસેમ્બર પછી પણ સુનાવણીમાં ગેરહાજર રહો કે યોગ્યતા સાબિત ન કરી શકો, તો જ તમારું નામ 'અંતિમ મતદાર યાદી' (Final Roll) માંથી કમી થશે.












Click it and Unblock the Notifications
