ગુજરાતમાં જળ સંકટ? આ અઠવાડિયામાં વરસાદ નહીં થાય તો પરિસ્થિતિ ગંભીર થવાના એંધાણ!
ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદે પરેશાન કર્યા છે. એક તરફ ઓછો વરસાદ અને હવે બીજી તરફ ગુજરાતભરના જળાશોયોમાં પાણીનો જથ્થો ખતમ થતા રાજ્યમાં જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદે પરેશાન કર્યા છે. એક તરફ ઓછો વરસાદ અને હવે બીજી તરફ ગુજરાતભરના જળાશોયોમાં પાણીનો જથ્થો ખતમ થતા રાજ્યમાં જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૌથી ગંભીર વાત એ છે કે જો હવે આ અઠવાડીયામાં વરસાદ નહીં આવે તો નર્મદા ડેમમાંથી મળતું પાણી પણ બંધ થઈ શકે છે. એક તરફ રાજ્યમાં વરસાદની ખેંચ તો બીજી તરફ ડેમ ખાલી થતા હવે આવતા વર્ષ માટે પીવાના પાણીની સ્થિતીનો પણ સરકારને વિચાર કરવો પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. રાજ્ય સરકારે ખેડુતોને પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને જળાશયોમાંથી ખેતી માટે પાણી આપવાની જાહેરાત કરી છે પરંતુ જો હજુ વઘારે વરસાદ ખેંચાશે તો સરકારે પોતાનો નિર્ણય બદલવો પડી શકે છે.
નર્મદા ડેમમાં 45.50 ટકા જ પાણીનો જથ્થો
ભારતભરમાં વરસાદની ખેચ છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ જળ સંકટ સામે વધારે સમય ટકી શકે તેમ નથી. હાલ તો ડેમમાંથી પાણી આપવામાં આલી રહ્યુ છે પરંતું જો વધારે વરસાદ ખેંચાયો તો સરદાર સરોવરમાંથી પાણી આપવા પર સરકાર વિચારણા કરી શકે છે. ડેમની સપાટીની વાત કરીએ તો હાલ ડેમ 115.69 મીટર ભરેલુ છે અને કુલ 3.49 મિલિયન એકર ફૂટ પાણીનો જથ્થો છે. જે કુલ સ્ટોરેજ ક્ષમતાના 45.50 ટકા છે. સૌથી મોટી વાત એ છે કે આ જથ્થામાંથી માત્ર 11 ટકા પાણી જ વાપરી શકાય તેમ છે. બીજો જથ્થો અનામત રાખવો પડશે.
ગુજરાતમાં ફરીથી જળ સંકટના એંધાણ?
સરદાર સરોવર ડેમ સંપુર્ણ કાર્યરત થતા ગુજરાતમાં જળસંકટની સ્થિતી મોટાભાગે આવતી નથી, પરંતુ આ વર્ષે વરસાદે દગો કરતા હવે ગુજરાતને તેના જુના દિવસો પાછા જોવા પડી શકે છે. આગામી દિવસોમાં જો વરસાદ નહીં આવે તો નર્મદા ડેમમાંથી પાણી બંધ કરવામાં આવશે, જેના કારણે ખેડુતોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલ નર્મદા ડેમમાંથી 15 હજાર 200 થી 15 હજાર 792 ક્યૂસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. બીજી તરફ ખેડુતોની માંગ છે કે સરકારે ઉદ્યોગોને અપાતુ પાણી જરૂર પડ્યે બંધ કરી ખેડુતોને આપવુ જોઈએ.
સરકારની જળાશયોમાંથી પાણી આપવાની જાહેરાત
વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધીનો પાણીનો જથ્થો અનામત રાખી ખેડુતોને ખેતી માટે પાણી આપવાની જાહેરાત કરી છે. ખેતી માટે 56 ડેમમાંથી 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી અપાશે. આ પાણીમાંથી ઉત્તર ગુજરાતને 2 હજાર, મધ્ય ગુજરાતને 12 હજાર, સૌરાષ્ટ્રને 2500, અને દક્ષિણ ગુજરાતને 20 હજાર મિલિયન ક્યૂબિક ફૂટ પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી 9.5 લાખ એકર ખેતીને પાણી મળશે.
રાજ્યમાં વરસાદની સ્થિતી
વરસાદની વહેલી શરૂઆત બાદ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. હજુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓછો વરસાદ છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને રાજ્યના બીજા વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે.