અમે ખાલી પેપર નથી વેંચતા, કરીને બતાવીએ છીએઃ મોદી
ઉપસ્થિત લોકમેદનીને સંબોધિત કરતીવેળા મોદીએ કહ્યું, "અમે માત્ર પેપર વહેંચવામાં માનતા નથી. અમે પહેલા સરકારમાં પપેર પર નિર્ણય લઇએ છીએ અને પછી તેને તમારી સમક્ષ જાહેર કરીએ છીએ. આ નવા તાલુકા આવતા વર્ષની 26 જાન્યુઆરીથી અમલી બનશે."
આ તકે મોદીએ યાદ અપાવ્યું હતું કે, તેમણે સુઝલામ સુફલામ યોજનાનું વચન આપ્યું હતું અને તેને પાળ્યું પણ હતું. " મે વર્ષ 2007માં સુઝલામ સુફલામ યોજનાનું વચન આપ્યું હતું, ત્યારે એવો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો હતો કે આ યોજના માટે કેનલોના નિર્માણમાં મોદી પૈસા ક્યાંથી લાવશે, પરંતુ આજે સુઝલામ સુફલામ એક સ્વપ્ન નહીં પણ હકીકત છે. પાણીનો ફ્લો વધ્યો છે, ભુજળ ઉંચા આવ્યા છે અને તેની આસપાસની જમીનના ભાવ પણ વધ્યા છે," મોદીએ કહ્યું હતું.
કોંગ્રેસના 40 વર્ષના શાસનકાળમાં જે કામો થયા તે ભાજપના શાસનકાળના ચાર વર્ષમાં થઇ ગયા છે, તેમ મોદીએ ઉમેર્યું હતું. તેમણે નવા તાલુકા અંગે કહ્યું હતું કે એક તાલુકો બનાવવાથી માત્ર એક જ તાલુકાને ફાયદો નહીં થાય પરંતુ તેનાથી અન્ય તાલુકાઓના વહીવટ કાર્યમાં પણ ફાયદો થશે. કામના ભારણમાં ઘટાડો થશે.
પાટણમાં વિવેકાનંદ યુવા પરિષદ દરમિયાન મોદી દ્વારા સુઇગામ, સરસ્વતી અને શંખેશ્વર તાલુકાની રચના અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પાટણ તાલુકામાંથી સરસ્વતી, સામીમાંથી શંખેશ્વર અને વાવ તાલુકામાંથી સુઇગામને તાલુકો બનાવવામાં આવશે.