રાજ્યમાં આજથી 3 ડિગ્રી તાપમાન વધશે, બે દિવસ માટે યલો એલર્ટ જાહેર
રાજ્યમાં આજથી ભીષણ ગરમીનો વધુ એક રાઉન્ડ શરુ થઈ શકે છે. જાણો હવામાન વિભાગની આગાહી.
અમદાવાદઃ રાજ્યમાં આજથી ભીષણ ગરમીનો વધુ એક રાઉન્ડ શરુ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં શનિવાર અને રવિવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગઈકાલે દિવસ દરમિયાન 42.4 ડિગ્રી તાપમાન સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધવામાં આવી હતી.
અમરેલી સિવાય રાજ્યના અન્ય શહેરો અમદાવાદ, ભૂજ, ગાંધીનગર, રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યો હતો. અમદાવાદમાં 42.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 3 ડિગ્રીો વધારો નોંધાયો હતો. આગામી 20 એપ્રિલ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં અત્યંત ભીષણ ગરમીનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2-3 ડિગ્રીનો વધારો થશે. જો કે, ત્યારબાદ બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આજે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં જ્યારે રવિવારે સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં કાળઝાળ ગરમીની સંભાવનાના પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી છે.