પશુપાલકોની મહેનતથી બનાસકાંઠામાં શ્વેતક્રાંતિ આવીઃ શંકર ચૌધરી
પશુપાલકોની મહેનતથી બનાસકાંઠામાં શ્વેતક્રાંતિ આવીઃ શંકર ચૌધરી
બનાસકાંઠાના બાદરપુરા ઓઇલ મિલ ખાતે બનાસ ડેરીની ૫૪ મી વાર્ષિક સાધારણ સભા કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ૧૯.૧૨ ટકા સાથે ૧૬૫૦.૭૧ કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ બનાસ ડેરીને એશિયામાં નંબર વન સ્થાન પર પહોંચાડવા બદલ સૌને અભિનંદન પાઠવી બનાસકાંઠાની આ સહકારી ચળવળને બિરદાવી હતી. બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખાની સરાહના કરતાં જણાવ્યું કે, બનાસ ડેરીની આવકમાંથી ૮૨ ટકા રકમ પશુપાલકોને ચુકવવામાં આવે છે. પ્રાઇવેટ કંપની અને સહકારી સંસ્થા વચ્ચે આ જ તફાવત છે. લોકો ધારે તો પોતાની રીતે વિકાસ કરી શકે તેનું નામ જ સહકારીતા તેમ તેમણે જણાવ્યું હતુ. બનાસવાસીઓને બચત કરવાની અપીલ કરતાં જણાવ્યું કે, પશુપાલનના વ્યવસાયમાંથી દૂધની મબલખ આવક થઇ રહી છે ત્યારે બચત પણ કરવી ખુબ જરૂરી છે.
આ પ્રસંગે સાંસદ પરબત પટેલે જણાવ્યું કે, બનાસ ડેરીના ચેરમેન અને નિયામક મંડળ દ્વારા પશુપાલકો ઐતિહાસિક ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે જે અભિનંદનને પાત્ર છે. બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડીને આ વિસ્તારની સુખ, સમૃધ્ધિ વધારી છે. ડેરી, પશુપાલન, ખેતી સહિત તમામ ક્ષેત્રોના વિકાસ માટે સરકાર સંકલ્પબ્ધ છે.
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પ્રેઝન્ટેશન સાથે બનાસ ડેરીના વિકાસની વાત કરતાં જણાવ્યું કે, બનાસકાંઠાની જીવાદોરી સમાન પશુપાલકોની સંસ્થા બનાસ મેડીકલ કોલેજે કોરોના કાળમાં હજારો લોકોના જીવ બચાવવાનું પૂણ્યશાળી કામ કર્યુ છે. તેમણે કહ્યું કે, ૨૭.૫૦ લાખ જેટલાં પશુઓ સાથે બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્ય અને દેશમાં સૌથી વધુ પશુધન ધરાવતો જિલ્લો છે. ૯૯ ટકા પશુઓનું ટેગીંગ કરવામાં આવ્યું છે. પશુઓની ઓલાદ સુધારવા માટે સીમેન સેન્ટર અપગ્રેડ કરવા અને પશુઓના ન્યુટ્રીશીયન માટે બનાસ દાણનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. ગત વર્ષે બનાસ ડેરી દ્વારા ૧૧૦૦ કરોડનો ભાવફેર આપવામાં આવ્યો હતો જેની સામે આ વર્ષે ૧૯.૧૨ ટકા સાથે ૧૬૫૦.૭૧ કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે જેનાથી લાખો પશુપાલકોને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની મહેનતથી સૂકા પ્રદેશમાં શ્વેતક્રાંતિ આવી છે ત્યારે બનાસની આ શ્વેતક્રાંતિને આગળ વધારવા માટે ટીપે ટીપાં પાણીને બચાવી જળ સંગ્રહ કરવો પડશે. તેમણે બનાસકાંઠા જિલ્લાને હરીયાળો બનાવવા વૃક્ષારોપણ કરવા પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે અમૂલ ફૂડ ઝોનનું લોકાર્પણ, મધ પ્રોસેસીંગ પ્લાન્ટ, અમૂલ પ્રોફાઇલ બટરમિલ્ક અને બનાસ કોમ્યુનિટી રેડીયો મોબાઇલ એપનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકોનું ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. તેવી જ રીતે વધુ દૂધ સંપાદન કરનાર દૂધ મંડળીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતુ.












Click it and Unblock the Notifications
