ગુજરાત વિધાનસભામાં વજુભાઇનું રાજીનામુ; નવા અધ્યક્ષના નામની અટકળો શરૂ
ગાંધીનગર, 27 ઓગસ્ટ : ભાજપના વરિષ્ઠ નેતા અને હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળાને મંગળવાર 26 ઓગસ્ટે કર્ણાટકના રાજ્યપાલ પદે નામિત કરવામાં આવ્યા છે. આ પગલાંના સંદર્ભમાં તેમના રાજ્યપાલ બનવાનો માર્ગ મોકળો બને તે માટે જરૂરી પ્રક્રિયાના ભાગરૂપે તેમણે ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે.
ગુજરાત વિધાનસભામાંથી રાજીનામુ આપતા અધ્યક્ષનું પદ ખાલી પડ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કર્ણાટકના રાજ્યપાલ બનવાના છે એવા સમચાર આવ્યા ત્યારથી જ વજુભાઇ વાળાના અનુગામી કોણ બનશે તે અંગેની અટકળો ચાલવાની શરૂ થઇ છે.
ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે જેમના નામની અટકળ ચાલી રહી છે તેમાં મંગુભાઈ પટેલના નામની ચર્ચા જોરમાં ચાલી રહી છે. નોંધનીય છે કે મંગુભાઇ પટેલ આ પહેલા પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કામગીરી કરવાનો અનુભવ ધરાવે છે.
નોંધનીય છે કે વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ વજુભાઇવાળાને કાર્યકાળી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે સફળતાથી ગૃહનું સંચાલન કર્યું છે. હવે ગુજરાતને અનુભવી અધ્યક્ષની શોધ છે. આ કામગીરી થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના રાજ્યપાલ ભારદ્વાજનો કાર્યકાળ જુલાઇ, 2014માં પૂરો થયો તે પછી આ પદ માટે ગુજરાતમાંથી કેશુભાઈ અને વજુભાઈને રાજ્યપાલ બનાવાય તેવી અટકળો હતી. કેશુભાઈએ નાદુરસ્ત તબિયતના કારણે રાજ્યપાલ બનવાની અનિચ્છા દર્શાવી હતી. ત્યાર પછી આ પદ માટે વજુભાઈ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
વજુભાઈને રાજયપાલ બનાવવામાં આવતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તેમની મુલાકાત કરીને શુભેચ્છા આપી હતી.