સત્તામાં રહેલી ભાજપ વિપક્ષ કોંગ્રેસ કરતાં વધુ લોકભાગીદાર કેમ !!!
સત્તામાં રહેલી ભાજપ વિપક્ષ કોંગ્રેસ કરતાં વધુ લોકભાગીદાર કેમ !!!
સામાન્ય રીતે સત્તા પક્ષને ઘેરવાનું અને સતત જનતાના મુદ્દા ઉઠાવી સરકારને ભિંસમાં લેવાનું કામ વિપક્ષી દળનું હોય છે. વિપક્ષમાં રહેલો પક્ષ સતત લોકોની વચ્ચે રહી તેમના પ્રશ્નો અને તેમની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કરતો હોય છે. સરકારની જનવિરોધી નીતિઓ હોય, મોઘવારી, કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ હોય કે ભ્રષ્ટાચાર કોઇપણ મુદ્દે સરકારની આકરી આલોચના કરવી અને જનતાના મુદ્દાને સડકથી લઇ સંસદ કે વિધાનસભામાં ઉઠાવવાનું કામ વિપક્ષી દળને કરવાનું હોય છે. આ રીતે, ખરેખર કહી શકાય કે, સરકારમાં શાસક પક્ષ હોવા છતાં જનતા વચ્ચે તો વિપક્ષનું જ શાસન હોય છે. પરંતું, આ રાજકીય સિદ્ધાંત ગુજરાતમાં ખોટો સાબિત થાય છે. ગુજરાતમાં ભાજપનું છેલ્લા 25 વર્ષથી એકહથ્થુ શાસન છે, કોંગ્રેસ સતત સત્તાથી વિમુખ છે. પરંતું, કોંગ્રેસની લોકો વચ્ચે સક્રિય અને રણનીતિક જનભાગીદારીનો અભાવ જોવા મળે છે.

ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ લોકો વચ્ચે હોવા છતાં કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં ખુબ ઓછુ જોવા મળે છે. કોંગ્રેસના નેતાઓ જનતા પાસેથી કોંગ્રેસના નામે વોટ મેળવ્યા બાદ ક્યારે પક્ષપલટો કરીને ભાજપનો ખેસ ધારણ કરી લેતાં હોય છે તે, કોંગ્રેસના નેતાઓને પણ ખબર સુધ્ધાં હોતી નથી. તો, ક્યાંક લોકજુવાળ ભાજપ વિરોધી હોવા છતાં ઘણી વખત કોંગ્રેસના નેતાઓ જૂથબંધીના કારણે ભાજપના ઉમેદવારને વિજય મળે તેવા પ્રયાસ કરે છે.
ભાજપ સત્તામાં હોવા છતાં એન્ટિ ઇનકમ્બન્સીનો ભોગ બની નથી કે તેને સત્તા ગુમાવવાની નોબત આવી હોય. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસે વધુ મજબુત દેખાવ કરવાના કારણે ભાજપ માત્ર 99 બેઠકમાં સમેટાઇ ગયુ હતું. પરંતું, વિવિધ કાર્યક્રમો અને જનસભાઓ દ્વારા સતત લોકો વચ્ચે રહી લોક ચાહના મેળવવા પ્રયાસ કરે છે. જ્યારે, કોંગ્રેસના એકલ દોકલ સ્થાનિક નેતાઓ લોકોની વચ્ચે રહી જન સમર્થન મેળવતા હોય છે. પરંતું, સહિયારી કોંગ્રેસ પાર્ટી કોઇ પ્રયાસ કરતી નથી. કોંગ્રેસનું પ્રાદેશિક નેતૃત્વ ક્યારેક નમૂનારૂપ કાર્યક્રમ આપીને કે કેન્દ્રિય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા આદેશ પ્રમાણેના કાર્યક્રમ કરીને નિષ્ક્રિય થઇ જાય છે. કોંગ્રેસ સંગઠન માત્ર મીડિયા મેનેજમેંટ કે દેખાવ માટેના કાર્યક્રમ આપે છે. જેમાં, લોકભાગીદારીપૂર્ણ રચનાત્મક કાર્યક્રમોનો સંપુર્ણ અભાવ જોવા મળતો હોય છે.
કોંગ્રેસના કાર્યક્રમોમાં જનતાને સક્રિય રીતે સાંકળવા પ્રયાસ કરવામાં આવતો નથી, જ્યારે કોંગ્રેસના નેતાઓ લોકજુવાળ વિરોધી નિવેદનો કે પ્રતિક્રિયા આપી જનતાનું સમર્થન મેળવવાના બદલે લોકોના રોષનો ભોગ વધુ બની જાય છે. અર્થાત, લોકોની નાડ પારખવામાં અને લોકોના પ્રવાહને ઓળખવાની આવડતનો અભાવ છે. કોંગ્રેસનું સંગઠન મિસમેનેજમેન્ટ અને નિષ્ક્રિયતાના કારણે ગ્રાઉન્ડ પર અસફળ પુરવાર થાય છે, જ્યારે ભાજપ જનમાનસના મુદ્દાને વધુ ઉછાળી સહાનુભૂતિ હાંસલ કરવા પ્રયાસ કરતું રહે છે.












Click it and Unblock the Notifications
