નરેન્દ્ર મોદીએ વિહિપની રામમંદિરની બેઠકમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
આ મહત્વની બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત , રાજ્યના વિહિપના કાર્યકારી અધ્યક્ષ કૌશિક મહેતા પણ ઉપસ્થિત રહેવાના છે. આ અંગે કૌશિક મહેતાએ જણાવ્યું કે આ બેઠકમાં ભાગ લેવા માટે અમે ચમામ રાજકીય નેતાઓને આમંત્રણ આપ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અંગે મહેતાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ તો આમંત્રિતો પર નિર્ભર કરે છે કે તેમણે આવવું કે નહીં. આ ઇવેન્ટમાં જે પણ આવશે તેમનું સ્વાગત છે.
આ બેઠકમાં રાજ્યભરમાંથી વિહિપના 50,000થી વધારે કાર્યકરો ભાગ લેવાના છે. વિહિપના ટોચના નેતાઓ જેવા કે પ્રવીણ તોગડિયા, અશોક સિંઘલ, રાઘવ રેડ્ડી, અશોક ચૌગલે અને એસ વેન્ડન્ટમ પણ હાજર રહેવાના છે.
આ ઓગસ્ટમાં ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા જઇ રહેલી વિશ્વ હિન્દુ પરિષદ આ ઉજવણીનો આરંભ સિન્ડેના સંગમ સાથે કરવા માંગે છે. જાણવા મળ્યું છે કે આ સંમેલનમાં સોમનાથ મંદિર જેવો જ કાયદો લાવવાનો પ્રસ્તાવ લાવીને વિહિપ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા ઇચ્છે છે. વિહિપનું કહેવું છે કે અયોધ્યામાં રામજન્મભૂમિના પુરાવા છે. કોર્ટે આ બાબત સ્વીકારી છે. હવે કેન્દ્રએ ત્યાં મંદિર બનાવવાની મંજૂરી આપવી જોઇએ.
એક અગ્રણી વિહિપ નેતાએ જણાવ્યું કે આ સંગઠનને વધારે મજબૂત બનાવવા અને હિન્દુઓને નજીક લાવવા માટે બેઠકમાં અનેક ખરડા પસાર કરવામાં આવશે. આ બેઠકમાં કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કેવી રીતે કરવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. આ અંગે પ્રવીણ તોગડિયા આવતા વર્ષે અનેક કાર્યક્રમો યોજશે.
વિહિપની આટલી બધી તૈયારી હોવા છતાં સંઘમાંથી આવેલા નરેન્દ્ર મોદી વિહિપની બેઠકમાં જાણી જોઇને ભાગ લેવાનું ટાળી રહ્યા છે. આ પાછળ તેમની કટ્ટર હિન્દુત્વની છબીને વધારે ઘાટી બનાવવી અટકાવવાનો પ્રયાસ છે તે સ્પષ્ટ જણાઇ આવે છે. તાજેતરના સમયમાં આ છબીને આછી કરવા માટે નરેન્દ્ર મોદીએ મુસ્લિમો પ્રત્યે કુમળું વર્તન અપનાવ્યું છે.