છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ!
છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે સ્વામીનારાયણ સત્સંગ હોલમાં રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી દેવા માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે સ્વામીનારાયણ સત્સંગ હોલમાં રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી દેવા માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે મંત્રી અને મહાનુભાવોએ આદિવાસી સમાજની રૂઢિ પરંપરા પ્રમાણે પૂજા અર્ચના કરી ભગવાન બિરસા મુંડાની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દાહોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજયમંત્રી દેવા માલમે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના હકક-અધિકારો, તેમની આગવી જીવનશૈલી અને તેમની સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે લેવામાં આવી રહેલા સીમાચિહ્નરૂપ પગલાઓ અંગે જાણકારી આપી બજેટમાં આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઇ અંગે જાણકારી આપી હતી. મંત્રીએ વનબંધુ કલ્યાણ યોજના વિશે પણ માહિતી આપી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ ચૌધરીએ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી.