ચોટીલામાં 29.51 કરોડનાં ખર્ચે ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય બનશે, મુખ્યમંત્રીએ ખાતમૃહુર્ત કર્યુ
સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયુ છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન નવા બસ સ્ટેશનનું લોકાર્પણ અને ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય-પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે દેશભરમાં ૯૧ આકાશવાણી રેડિયો એફ.એમ સ્ટેશનનો પ્રારંભ કરાવતા સુરેન્દ્રનગરને પણ આવા FM સ્ટેશન મળ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને પુસ્તકાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. ચોટીલા ખાતે ૨૯.૫૧ કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને ૩.૩૯ કરોડના ખર્ચે સરકારી પુસ્તકાલયનું નિર્માણ થશે. મુખ્યમંત્રીએ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત તેમના જન્મ સ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય તૈયાર કરવા સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે અને સંગ્રહાલય માટે ૨૯.૫૧ કરોડનું બજેટ મંજુર કરાયું છે. આ સંગ્રહાલયમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં યોગદાનને પ્રદર્શિત કરાશે.
આ ઉપરાંત ચોટીલાના તાલુકા પુસ્તકાલયને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય નામ આપવામાં આવ્યું છે. હાલનું ભવન નાનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બે માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયનું નિર્માણ થશે. આ પુસ્તકાલયમાં મેઘાણીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો વાચકો સંશોધકો પણ ઉપયોગ કરી શકશે.
આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં ૬.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ નવનિર્મિત એસટી બસ સ્ટેશનના પરિસરની મુલાકાત લઈને મુસાફરો માટે ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
સુરેન્દ્રનગર શહેરમાં ૨૦,૦૮૩ ચો.મી. વિસ્તારમાં આકાર પામેલા આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા આ બસ સ્ટેશનમાં કુલ ૧૪ પ્લેટફોર્મ અને મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ઇન્કવાયરી રૂમ, વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર ડેપોની ૧૪૦ અને અન્ય ડેપોની ૧૪૦ બસો મળીને કુલ ૨૮૦ બસોમાં દૈનિક ધોરણે અવર-જવર કરતા ૫૦૦૦ જેટલા મુસાફરો માટે પરિવહન હવે વધુ સુવિધાજનક બનશે.












Click it and Unblock the Notifications
