ભારે વરસાદ નવરાત્રિવની મજા બગાડી શકે છે : હવામાન વિભાગ
અમદાવાદ, 3 ઓક્ટોબર : નૈઋત્ય ચોમાસું પૂરું થવામાં વિલંબ થવાને કારણે હાલમાં તહેવારોની શરૂ થયેલી મોસમમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી હતી. આ કારણે ગુજરાત અને મુંબઇમાં આ વર્ષે ઘણા દિવસોથી નવરાત્રિની તૈયારી કરતા ખૈલૈયાઓની ગરબા રમવાની મજા બગડી શકે છે.
હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણને કારણે ચોમાસું પૂરું થવામાં વિલંબ થયો છે અને તેને કારણે વધુ એક અઠવાડિયું વરસાદ પડી શકે છે. હાલમાં વરસાદ કલ્પા (હિમાલય), હિસાર (હરિયાણા), જોધપુર (રાજસ્થાન) અને નલિયા (ગુજરાત)થી પસાર થઇ રહ્યો છે. દિલ્હીમાં ચોમાસું 21મી સપ્ટેમ્બરની બદલે હવે 10મી ઓક્ટોબરે પૂરું થવાની શક્યતા છે.
બંગાલના ઉપસાગરમાં ઓછા દબાણને કારણે ચોમાસું પૂરું થવામાં વિલંબ થયો છે. આવું આગામી એક અઠવાડિયા સુધી ચાલી શકે છે. દિલ્હીના હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું. સામાન્ય રીતે મુંબઈ અને પશ્ચિમ તટ વિસ્તારોમાં 30મી સપ્ટેમ્બરે ચોમાસું પૂરું થઇ જાય છે, પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે અને કદાચ તહેવારોની મોસમમાં ચોમાસું પૂરું થશે.
ભારતમાં દુર્ગા પૂજા અને નવરાત્રિની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે લંબાયેલા ચોમાસાને કારણે તેમાં વિઘ્ન ઊભું થવાની શક્યતા છે.