પુણે: હિંસા ભડકતાં 1નું મૃત્યુ, રાહુલે BJP પર મઢ્યો દોષ
પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઇની 200મી વરસી પર આયોજિત એક કાર્યક્રમમાં બે જૂથો વચ્ચે હિંસા ભડકી ઊઠી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે
પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઇની 200મી વરસી પર આયોજિત એક કાર્યક્રમમાં બે જૂથો વચ્ચે હિંસા ભડકી ઊઠી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેને કારણે આર્થિર ક્ષતિ પણ થઇ છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 200 વર્ષ પહેલા ભીમા-કોરેગાંવની લડાઇમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ પેશવાની સેનાને પરાજિત કરી હતી, દલિત નેતાઓ આ જીતની ઉજવણી કરે છે. કારણ કે, તેમનું માનવું છે કે, ઇતિહાસ અનુસાર ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી મહાર સમુદાયના સૈનિકો આ યુદ્ધ લડ્યા હતા અને એ સમયે તેઓ અછૂત ગણાતા હતા. સમાજમાં તેમને તિરસ્કારભરી નજરોએ જોવામાં આવતા હતા. જો કે, દક્ષિણપંથી સમૂહો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ થઇ રહ્યો છે, તેમને બ્રિટિશ જીતની ઉજવણી પર આપત્તિ છે.
શા માટે થઇ ધમાલ?
પોલીસ અનુસાર, સ્થાનિક સમુહ અને ભીડના કેટલાક સભ્યો વચ્ચે સ્મારક તરફ જતી વખતે કોઇ મુદ્દે દલીલ થઇ હતી અને એ પછી પથ્થરમારો શરૂ થયો હતો. મામલાએ વધુ ગંભીરરૂપ ધારણ કરતાં હિંસા ભડકી ઊઠી હતી. રોષે ભરાયેલા લોકોએ ખૂબ તોડફોડ પણ કરી હતી, ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જો કે, હજુ સુધી મૃતકની ઓળખાણ થઇ શકી નથી. ઇજાગ્રસ્ત લોકોમાંથી પણ કેટલાક ખૂબ ગંભીર છે.
CMએ આપ્યા તપાસના આદેશ
આ મામલે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કાયદાકીય તપાસની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ભીમા-કોરેગાંવની લડાઇની 200 વરસી પર લગભગ 3 લાખ લોકો આવ્યા હતા, અમે પોલીસના 6 કંપનીઓ ખડેપગે હાજર કરી હતી. કેટલાક લોકોએ વાતાવરણ ડહોળવા માટે હિંસા ફેલાવી છે અને આ સહન કરવામાં નહીં આવે. મૃતકના પરિવારજનોને 10 લાખનું વળતર આપવામાં આવશે અને યુવાઓના મૃત્યુ મામલે સીઆઈડી તપાસ કરશે.
સરખી વ્યવસ્થા કરવામાં નહોતી આવી
દલિતો પર થયેલ હિંસા મામલે શરદ પવારે કહ્યું કે, લોકો ત્યાં 200 વર્ષથી જઇ રહ્યાં છે, પરંતુ આવું ક્યારેય નથી થયું. આ મામલે વધુ ધ્યાન આપવાની જરૂર છે. પ્રશાસન દ્વારા યોગ્ય રીતે આની તૈયારી કરવામાં નહોતી આવી. આ કારણે જ આ પ્રકારની ઘટના થઇ છે.
રાહુલે ભાજપને આપ્યો દોષ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મામલે ભાજપના માથે દોષ મઢ્યો છે. આ અંગે ટ્વીટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું છે, આરએસએસ અને ભાજપ અનુસાર, ભારતમાં દલિતો સમાજના તળિયે જ રહેવા જોઇએ. ઉના, વેમુલા અને હવે ભીમા-કોરેગાંવ આ વાતની સાબિતિ આપે છે.