કુપવાડામાં 10 વર્ષના બાળકની નિર્મમતાથી હત્યા, ઘાટીમાં બંધ અને ગુસ્સો
ઉત્તર કાશ્મીરના કુપવાડામાં 10 વર્ષના એક બાળકની હત્યા બાદ આખા શહેરમાં તણાવનો માહોલ છે.
ઉત્તર કાશ્મીરના કુપવાડામાં 10 વર્ષના એક બાળકની હત્યા બાદ આખા શહેરમાં તણાવનો માહોલ છે. બાળકની હત્યા કર્યા બાદ આખા કુપવાડામાં બંધનું એલાન કરી દેવામાં આવ્યુ છે. શુક્રવારે અહીં બાળકની હત્યાના વિરોધમાં મોટા પ્રમાણમાં પ્રદર્શન થયા હતા. આ બાળકનો મૃતદેહ ગુરુવારે ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. ઓથોરિટીઝ તરફથી બધી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. વળી, અહીં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
શરીર બળી ગયુ હતુ અને હાથ પણ કાપી લેવામાં આવ્યો હતો
આ બાળકનું નામ ઉમર ફારુખ હતુ અને તે ગુલામ ગામનો રહેવાસી હતો. આ બાળકનો મૃતદેહ ગુરુવારની સાંજે એક નાળામાંથી મળી આવ્યો હતો. બાળકને પૂરેપૂરો બાળી નાખવામાં આવ્યો હતો અને એનો એક હાથ કાપી લેવામાં આવ્યો હતો. ફારુખ ત્રીજા ધોરણમાં ભણતો હતો અને સોમવારથી જ પોતાના ઘરેથી ગાયબ હતો. તે ના પરિવાર તરફથી તેના ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાળકની હત્યાએ સમગ્ર ઘાટીમાં ગુસ્સાનો માહોલ પેદા કરી દીધો છે. કુપવાડા પાસેના બધા જિલ્લાઓમાં પણ શુક્રવારે બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ.
મહેબૂબા મુફ્તીએ કરી નિંદા
કુપવાડાની સીમા પાસેના વિસ્તારોમાં કેટલાક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શન કર્યા હતા. આ લોકોની માંગ છે કે આ કેસની તપાસ થાય. મામલાની સંવેદનશીલતાને જોતા પોલિસે એક વિશેષ તપાસ ટીમ તૈયાર કરી છે જે હત્યામાં શામેલ લોકો અને કારણોની તપાસ કરશે. કુપવાડાના એસએસપી એસએસ દિનકરે જણાવ્યુ છે કે એસઆઈટીમાં નવ સભ્ય છે જેમાં પોલિસથી લઈને ફોરેન્સિક અધિકારી સુધી શામેલ છે. એસઆઈટીની ટીમે ક્રાઈમ સીનનું નીરિક્ષણ કર્યુ છે અને સાથે ફોરેન્સિક ટીમ પણ પુરાવા એકત્ર કરવા માટે ત્યાં ગઈ હતી. પરિવારનો કોઈ સભ્યો અત્યારે વાત કરવાની સ્થિતિમાં નથી. પોલિસ બાદમાં આ મામલે તેના પરિવાર સાથે વાત કરશે અને તપાસ કરશે કે જે દિવસે બાળક ગાયબ થયો તે સમયે શું થયુ હતુ. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ હત્યાની આકરી ટીકા કરી છે. તેમણે આ ઘટનાને કલ્પનાથી પરે ગણાવી છે.