12 પોલીસકર્મી કોરોના સંક્રમિત, 10 દિવસીય ટ્રેનિંગ સેશનમાં લીધો હતો
કોરોનાના સૌથી વધુ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 12 પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત મળ્યા છે. નાગપુર શહેર પોલીસ દ્વારા આ સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે.
મુંબઈ : દેશમાં કોરોનાનો ખતરો હજુ યથાવત છે. કોરોનાના હજારો નવા કેસ દરરોજ સામે આવી રહ્યા છે. કોરોનાના સૌથી વધુ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 12 પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત મળ્યા છે. નાગપુર શહેર પોલીસ દ્વારા આ સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. આ વિશે માહિતી આપતા નાગપુર સિટી પોલીસે જણાવ્યું હતું કે, 12 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે, આ લોકોએ પુણેમાં 10 દિવસના તાલીમ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસ નોંધાય છે. શનિવારના રોજ રાજ્યમાં કોરોનાના 3,075 નવા કેસ નોંધાયા છે, જ્યારે 35 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 64,94,254 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 1,38,096 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પુણેની વાત કરીએ તો શનિવારના રોજ 144 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારી વાત એ છે કે, કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી.
દેશમાં કુલ કોરોના કેસોમાં કેરળનો હિસ્સો 61 ટકા
દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કેરળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં માત્ર 80 ટકા કેસ છે. શુક્રવારના રોજ કેરળમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. બુધવારના રોજ અહીં 30 હજારથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં કુલ કોરોના કેસોમાં કેરળનો હિસ્સો 61 ટકા છે. રાજ્યમાં હજુ પણ લગભગ 3.37 લાખ સક્રિય કેસ છે. આવી પરિસ્થિતિમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો સતત માથે મંડરાઈ રહ્યો છે.