મણિપુરમાં મતદાન પહેલા બ્લાસ્ટમાં 2ના મોત, 5 ઘાયલ
મણિપુરમાં ચૂંટણીના માત્ર બે દિવસ પહેલા, શનિવારની રાત્રે ચુરાચંદપુર જિલ્લામાં એક ઘરમાં વિસ્ફોટમાં એક બાળક સહિત ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને પાંચ અન્ય ઘાયલ થયા છે.
ઇમ્ફાલ : મણિપુરમાં ચૂંટણીના માત્ર બે દિવસ પહેલા, શનિવારની રાત્રે ચુરાચંદપુર જિલ્લામાં એક ઘરમાં વિસ્ફોટમાં એક બાળક સહિત ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને પાંચ અન્ય ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર ગંગપુમુલ ગામમાં વિસ્ફોટ મોર્ટારને કારણે થયો હોવાનું માનવામાં આવે છે.
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, વિસ્ફોટમાં બાળકો સહિત ઓછામાં ઓછા સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 6 વર્ષીય મંગમીનલાલ અને 22 વર્ષીય લેંગિનસાંગ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વિસ્ફોટ બાદ તરત જ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સૈન્ય દળો સ્થળ પર દોડી ગયા અને વિસ્ફોટ માટે જવાબદાર લોકોને પકડવા માટે શોધખોળ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીના રોજ મણિપુર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વિસ્ફોટની આ પ્રથમ ઘટના હતી. 60 સીટોવાળી મણિપુર વિધાનસભાની ચૂંટણી સોમવાર અને શનિવારના રોજ બે તબક્કામાં યોજાશે. 10 માર્ચે મત ગણતરી થશે.