16મી મે 2014 ભારતીય રાજકારણ અને લોકસભા ચૂંટણી માટે એક ઇતિહાસ અંકિત કરી ગયો છે. પહેલું તો દેશમાં પહેલીવાર પૂર્ણ બહુમતિ સાથે કોંગ્રેસ સિવાયના અન્ય કોઇ પક્ષે સરકાર બનાવી છે, તો બીજું કદાચ ભારતની લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં એવું પહેલીવાર બની રહ્યું છેકે વિપક્ષ પદે બેસવા માટે એવી એકપણ પાર્ટી નથી કે જેની પાસે યોગ્યતા રહી હોય. આજે દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોદીએ જે સુનામી લાવી છે, તેની ચર્ચા થઇ રહી છે, મોદી હંમેશા પોતાની દરેક સભમાં કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતા હતા અને તેમણે એ સિદ્ધ પણ કરી બતાવ્યું. જે પ્રકારના આંકડા આ વખતના ચૂંટણી પરિણામમાં બહાર આવ્યા છે, તેને જોઇને એ ચોક્કસપણે કહી શકાય કે મોદીએ દેશને કોંગ્રેસમુક્ત ભારત બનાવી દીધો છે. પરંતુ આ સાથે જ એ પણ કહી શકાય કે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ દ્વારા કેટલીક એવી ભૂલો કરી દેવામાં આવી હતી, જો એ ભૂલો તેમણે ના કરી હોત તો આટલો મોટો રકાસ થયો ન હોત. તો કોંગ્રેસે તેની એક એવી આદતનો પરચો આપ્યો હતો, જે તેઓ દરેક ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીને લઇને કરતા આવે છે.
આટલી ભૂંડી હાર કોંગ્રેસને મળી ના હોત. ઇતિહાસમાં કોંગ્રેસનું નામ આવી ખરાબ હાર સાથે અંકિત ના થયું હોત. એક તરફ નરેન્દ્ર મોદી આખા દેશમાં ફરીને પોતે કરેલા વિકાસની વાતો સતત કરતા આવતા હતા. તેઓ વિરોધીઓ પર વ્યક્તિગત પ્રહારને મજાકિયા અંદાજમાં રજૂ કરતાની સાથોસાથ એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ક્યારેય ચૂકતા નહોતા કે જે મુદ્દા જેતે વિસ્તારની જનતાને સ્પર્શતા ના હોય. બીજી તરફ કોંગ્રેસ પોતે દસ વર્ષ સત્તા પર રહ્યાં તે દરમિયાન શું કર્યું તે અંગે જનતા સમક્ષ પોતાની વાતને રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યાં હતા, અથવા તો એમ કહી શકાય કે મોદીએ દેશમાં કોંગ્રેસનો જે ભ્રષ્ટ ચહેરો પ્રદર્શિત કર્યો હતો, તેને દેશની જનતાના માનસ પટલમાંથી દૂર કરવામાં કોંગ્રેસ ફેલ રહી હતી.
મોદી જ્યાં વ્યક્તિગત પ્રહારો સાથે તેઓ સત્તામાં આવશે તો દેશનો ચહેરો કેટલી હદે બદલાશે તે જણાવીને પોતાનું ઇન્ડિયા વિઝન રજૂ કરતા હતા, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા મોદી પર માત્ર વ્યક્તિગત પ્રહારો કરવામાં આવતા હતા અને ભવિષ્યમાં તેઓ ભારતને કેવો ચહેરો આપશે તેની વાત કરવાના બદલે ભૂતકાળમાં એટલે કે જ્યારે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની સરકાર હતી તે સમયની સિદ્ધિઓને જણાવી રહ્યાં હતા, જે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ માટે ઘાતક નિવડ્યું છે. આવી જ કેટલીક વાતો છે, જે કોંગ્રેસે ના કરી હોત તો કદાચ આવી હાલત ના થઇ હોત. તો ચાલો તસવીરો થકી એ મુદ્દાઓ પર નજર ફેરવીએ.
કોંગ્રેસે ના છોડી પોતાની આ આદત
દરેક ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની એક સામાન્ય આદતનો પરચો આપતું રહે છે. જ્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી સાથે જોડાયેલી વાત આવે ત્યારે કોંગ્રેસ માત્રને માત્ર નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવે છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચાર કરવાનો હોય કોંગ્રેસ દેશના મુદ્દાને ભૂલીને મોદીને જ મુખ્ય મુદ્દો માની લે છે. 2014ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાની આ આદતનો પરચો આપ્યો હતો. એક તરફ જ્યાં મોદી વિકાસની વાતો કરતા હતા તો બીજી તરફ કોંગ્રેસ મોદી પર વ્યક્તિગત હુમલા કરવામાંથી ઉંચી નહોતી આવતી.
નીચ રાજકારણ
જે રીતે 2007માં સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યાં હતા અને મોદીએ તેને મુદ્દો બનાવી દીધો હતો, તેવી જ રીતે 2014ની લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીના દિકરી પ્રિયંકા ગાંધીએ મોદી દ્વારા કરવામાં આવતા રાજકારણને નીચ રાજકારણ કહ્યું. બસ મોદીએ આ વાતને પકડી પાડી અને પોતાની પછાત અને નીચલી જાતિમાંથી આવતા હોવાથી કોંગ્રેસના ગાંધી પરિવાર દ્વારા તેમના પર પ્રહાર કરવામાં આવ્યો હોવાનું દરેક ચૂંટણી પ્રચારમાં કહ્યું. જેની સીધી અસર કોંગ્રેસના મતો પર પડી. જો કોંગ્રેસ દ્વારા મોદીના રાજકારણને નીચ રાજકારણ ના કહ્યુ હોત તો કદાચ આવો રકાસ ના થયો હોત. મોદીએ પછાત જાતિના તમામ મતોનો વિશ્વાસ અને લાગણી જીતી લીધી હતી.
ગુજરાત એક ટોફી મોડલ
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતની સકલ બદલાઇ છે એ વાતને કોઇ અવગણી શકે તેમ નથી. જે ગુજરાતમાં અવાર-નવાર કર્ફ્યુ લાગેલા રહેતા એ ગુજરાત શાંતિથી જીવન પસાર કરી રહ્યું છે અને વિકાસની ગાથામાં પોતાનું નામ અંકિત કરાવી રહ્યું છે અને કેન્દ્ર સરકારની કેટલીક કમિટિ તરફથી જ રાજ્ય સરકારને વિકાસલક્ષી કાર્ય કરવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ, અધ્યક્ષ સહિતના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં વિકાસની જે વાતો છે તે પોકળ હોવાનો પ્રચાર કરતા રહ્યાં, એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ તો ગુજરાત મોડલને એક ટોફી મોડલ કહી દીધું હતું, ક્યાંકને ક્યાંક ગુજરાતની 26 બેઠકો પર અને અન્ય રાજ્યો કે જે ગુજરાતના મોડલથી પ્રભાવિત છે ત્યાં કોંગ્રેસને ખરાબ પરાજયનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજી તરફ મોદી કોંગ્રેસની નિષ્ફળતા અને ગુજરાતમાં તેમણે જે કર્યું છે, તેને દર્શાવી જે ગુજરાતમાં કરી શકાયું તેમાંથી પ્રેરણા લઇને દેશમાં પણ વિકાસ કેવી રીતે કરી શકાય તે કહેતા રહ્યાં જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે.
મોદીને ચા વાળા કહ્યાં
મોદી રેલવે સ્ટેશને ચાની દુકાનમાં ચા વેચતા હોવાની વાત બહાર આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ દ્વારા મોદીને ચાવાળા કહેવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસને એ અદાંજો નહોતો રહ્યો કે મોદી આ જ ચા વાળાની વાતને એ હદે રાજકીય રંગ આપશે કે કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લેશે. મોદીએ પોતાની તમામ સભામાં ચાવાળાનો મુદ્દો ઉપાડીને પોતાની પાર્ટીનો આભાર માન્યો કે તેમણે ચાવાળાને પીએમ પદના ઉમેદવાર બનાવ્યા. બીજી તરફ મોદીએ ચા પર ચર્ચા પણ શરૂ કરાવી દીધી હતી.
2007માં મોદીને કહ્યાં હતા મોતના સોદાગર
તમને યાદ હોય તો 2007માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌહરાબુદ્દિન એન્કાઉન્ટરને લઇને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં હતા. સોનિયા ગાંધીએ એ હદે પ્રહાર કર્યા હતા કે મોદીને મોતના સોદાગર કહી દીધા હતા, બસ મોદીને સામે વાળાને ધ્વસ્ત કરવા માટે એક મુદ્દાની જરૂર હોય છે અને એ તક સોનિયા ગાંધીએ આપી દીધી હતી. મોદીએ આખી ચૂંટણી દરમિયાન મોતના સોદાગરને મુદ્દો બનાવીને ગુજરાતમાં વિધાનસભામાં વિજય નોંધાવ્યો હતો.