26/11 Mumbai Attack : વાત એ દિવસની જ્યારે આંતકવાદી હુમલામાં 160 થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યો હતો
તે દિવસે પાકિસ્તાનથી આવેલા જૈશ એ મોહમ્મદના 10 આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટો અને ગોળીબાર કરીને મુંબઈને સ્તબ્ધ કરી દીધું હતું.
26/11 Mumbai Attack : 26 નવેમ્બર, 2008ની સાંજ સુધીમાં મુંબઈ હંમેશની જેમ ચાલતું હતું. શહેરમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા, તો કેટલાક મરીન ડ્રાઈવ પર રાબેતા મુજબ દરિયામાંથી આવતા ઠંડા પવનોની મજા માણી રહ્યા હતા, પણ જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ મુંબઈના રસ્તાઓ પર ચીસો પણ વધતી ગઈ.
તે દિવસે પાકિસ્તાનથી આવેલા જૈશ એ મોહમ્મદના 10 આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટો અને ગોળીબાર કરીને મુંબઈને સ્તબ્ધ કરી દીધું હતું. આજે એટલે કે 26 નવેમ્બરના રોજ આ આતંકવાદી હુમલાને 13 વર્ષ થયા છે, પરંતુ ભારતીય ઈતિહાસનો આ કાળો દિવસ છે, જેને કોઈ ઈચ્છે તો પણ ભૂલી શકે નહીં. આતંકવાદી હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આતંકવાદીઓ કરાંચીથી દરિયાઈ માર્ગે આવ્યા હતા મુંબઈ
હુમલાના ત્રણ દિવસ પહેલા એટલે કે, 23 નવેમ્બરના રોજ આ આતંકવાદીઓ કરાંચીથી દરિયાઈ માર્ગે બોટ મારફતે મુંબઈ પહોંચ્યા હતા. જે બોટમાંથી આતંકીઓ આવ્યા હતા, તે બોટ પણ ભારતીય હતી અને આતંકીઓએ તેને કબ્જે કરી લીધી હતી અને તેમાં સવાર ચાર ભારતીયોના મોત થયા હતા. રાત્રે લગભગ આઠ કલાકે આતંકવાદીઓ કોલાબા નજીક કફ પરેડના મચ્છી માર્કેટ પર ઉતર્યા હતા.
અહીંથી તેઓ ચાર ગ્રૂપમાં વહેંચાઈ ગયા અને ટેક્સી લઈને પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કર્યું હતું. કહેવાય છે કે, જ્યારે આ આતંકવાદીઓ મચ્છી માર્કેટમાં ઉતર્યા હતા, ત્યારે ત્યાંના માછીમારોને તેમને જોઈને શંકા ગઈ હતી. મળતી માહિતી મુજબ માછીમારો આ અંગે સ્થાનિક પોલીસ પાસે પણ પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમના પર બહુ ધ્યાન આપ્યું ન હતું.
છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર 09.30 કલાકે ફાયરિંગ
પોલીસને રાત્રે 09.30 કલાકે છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર ફાયરિંગના સમાચાર મળ્યા હતા. જણાવવામાં આવ્યું હતું કે, અહીં રેલવે સ્ટેશનના મુખ્ય હોલમાં બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલાખોરોમાંથી એક મોહમ્મદ અજમલ કસાબ હતો, જેને ફાંસી આપવામાં આવી છે. બે હુમલાખોરોએ AK47 રાઈફલ વડે 15 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો, જેમાં 52 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
મુંબઈમાં અનેક પ્રખ્યાત સ્થળો પર ફાયરિંગ
આતંકવાદીઓનો આ ગોળીબાર માત્ર શિવાજી ટર્મિનસ પૂરતો સીમિત ન હતો. દક્ષિણ મુંબઈનું લિયોપોલ્ટ કાફે પણ એવા કેટલાક સ્થળોમાંથી એક હતું જે આતંકી હુમલાનું નિશાન બન્યું હતું. મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંની એક આ કેફેમાં થયેલા ફાયરિંગમાં માર્યા ગયેલા 10 લોકોમાં ઘણા વિદેશીઓ પણ શામેલ હતા. 1871થી મહેમાનોની સેવા કરી રહેલા આ કાફેની દિવાલોને ગોળીઓ વીંધીને હુમલાના નિશાનો રહી ગયા હતા.
10 કલાકે વિલે પાર્લેમાં બે ટેક્સીમાં બ્લાસ્ટ
રાત્રે 10.30 કલાકે સમાચાર આવ્યા કે, વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ડ્રાઈવર અને એક મુસાફર માર્યા ગયા હતા, તેના લગભગ 15-20 મિનિટ પહેલા બોરી બંદરથી પણ આવો જ એક વિસ્ફોટ થયો હતો, જેમાં ટેક્સી વિશે જાણકારી મળી હતી. ડ્રાઇવર અને બે મુસાફરોનું મોત નીપજ્યા હતા. આ હુમલાઓમાં 15 જેટલા ઘાયલ થયા હતા.
તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ અને નરીમન હાઉસ
ભારતીય ઈતિહાસના સૌથી ભયાનક આતંકવાદી હુમલાની આ સ્ટોરી અહીં પૂરી થતી નથી. 26/11ના ત્રણ મુખ્ય મોરચા મુંબઈમાં તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ અને નરીમાન હાઉસ હતા. જ્યારે હુમલો થયો ત્યારે તાજમાં 450 અને ઓબેરોય ખાતે 380 મહેમાનો હતા. ખાસ કરીને તાજ હોટલની ઈમારતમાંથી નીકળતો ધુમાડો પાછળથી મુંબઈ પરના આ હુમલાની ઓળખ બની ગયો હતો.
મીડિયા કવરેજથી આતંકવાદીઓને મળી મદદ
હુમલાની બીજી સવારે એટલે કે, 27 નવેમ્બરના રોજ એવી માહિતી મળી હતી કે, તાજ હોટલના તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ બાદમાં એવી માહિતી મળી હતી કે, કેટલાક લોકો હજૂ પણ આતંકવાદીઓના કબ્જામાં છે, જેમાં ઘણા વિદેશીઓ પણ શામેલ છે. હુમલા દરમિયાન બંને હોટલને રેપિડ એક્શન ફોર્ડ (RPF), મરીન કમાન્ડો અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડોએ ઘેરી લીધી હતી. મીડિયાના લાઇવ કવરેજથી આતંકવાદીઓને ઘણી મદદ મળી હતી. કારણ કે, તેઓ ટીવી પર સુરક્ષા દળોની દરેક ગતિવિધિઓ વિશે જાણતા હતા.
સુરક્ષા દળોની કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલી
સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી અથડામણ ચાલી હતી. જે દરમિયાન મુંબઈમાં વિસ્ફોટ થયો, આગ ફાટી નીકળી, ગોળીબાર થયો અને બંધકોની આશાઓ ક્ષીણ થતી રહી. તાજ, ઓબેરોય અને નરીમન હાઉસ પર માત્ર ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના 1.25 અબજ લોકોની નજર ટકેલી હતી.
હુમલા સમયે તાજમાં હાજર હતા ઘણા વિદેશી મહેમાનો
જે દિવસે તાજ હોટેલ પર હુમલો થયો તે દિવસે ઈન્ટરનેશનલ ટ્રેડ એસોસિએશનની સંસદીય સમિતિના ઘણા સભ્યો હોટેલમાં રોકાયા હતા, જોકે તેમાંથી કોઈને નુકસાનથયું ન હતું.
જ્યારે હુમલાઓ શરૂ થયા, ત્યારે યુરોપિયન સંસદના બ્રિટિશ સભ્ય સજ્જાદ કરીમ તાજની લોબીમાં હતા, ત્યારે જર્મન સાંસદ એરિકા માનને તેમનું જીવનબચાવવા માટે છૂપાઈ જવું પડ્યું હતું.
ઓબેરોયમાં હાજર લોકોમાં ઘણા જાણીતા લોકો હતા. તેમની વચ્ચે ભારતીય સાંસદ એનએન કૃષ્ણદાસ પણ હતા, જેઓ પ્રખ્યાતબ્રિટિશ ઉદ્યોગપતિ સર ગુલામ નૂન સાથે ડિનર કરી રહ્યા હતા.
NSG કમાન્ડો નરીમન હાઉસમાં શહીદ થયા
બંને હુમલાખોરોએ મુંબઈમાં યહૂદીઓના મુખ્ય કેન્દ્ર નરીમન હાઉસ પર પણ કબ્જો કર્યો હતો. ત્યાં ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ એનએસજી
કમાન્ડોએ નરીમન હાઉસ પર રેજ કરી અને કલાકોની લડાઈ બાદ હુમલાખોરોનો ખાત્મો થયો, પરંતુ એક એનએસજી કમાન્ડો પણ શહીદ થયો હતો. હુમલાખોરોએ
પહેલાથી જ રબ્બી ગેબ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને તેની છ મહિનાની ગર્ભવતી પત્ની રિવકાહ હોલ્ટ્ઝબર્ગ સહિત ઘણા લોકોની હત્યા કરી હતી. જે બાદમાં સુરક્ષા દળોને
ત્યાંથી કુલ છ બંધકોના મૃતદેહ મળ્યા હતા.
આ હુમલામાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
29 નવેમ્બરની સવાર સુધીમાં નવ હુમલાખોર આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા હતા અને અજમલ કસાબના રૂપમાં એક હુમલાખોર પોલીસની કસ્ટડીમાં હતો.
પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી, પરંતુ 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.