27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવ્યો, કૈદિઓને મદદ કરશે!
હાઈપ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 27 દિવસથી જેલમાં રહેલા બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે જામીન પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.
મુંબઈ, ઓક્ટોબર 30 : હાઈપ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 27 દિવસથી જેલમાં રહેલા બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે જામીન પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. શુક્રવારે તે જેલમાંથી બહાર આવી શક્યો ન હતો, કારણ કે જામીનના આદેશો સમયસર જેલમાં ન પહોંચ્યા અને વધુ એક દિવસ જેલમાં વિતાવવો પડ્યો. બીજી તરફ શનિવારે પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. મુંબઈની આર્થર રોડ જેલના અધિકારીએ જણાવ્યું કે આર્યન ખાનની મુક્તિની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
કોર્ટનો આદેશ મળતા શનિવારે સવારે 5.30 કલાકે જેલની જામીન પેટી ખોલવામાં આવી હતી, જેના પગલે જામીનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હકીકતમાં, શુક્રવારે કોર્ટમાંથી જામીન મળ્યા પછી આદેશો નિર્ધારિત સમયમર્યાદામાં જેલ સત્તાવાળાઓ સુધી પહોંચ્યા ન હતા, જેના કારણે શાહરૂખના પુત્રને બીજી રાત જેલમાં વિતાવવી પડી હતી, હવે બીજા દિવસે (શનિવારે) સવારે તે જેલમાંથી છૂટ્યો છે.
આ પહેલા ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપ્યા હતા, પરંતુ કાર્યવાહી પૂર્ણ ન થવાને કારણે તેને શુક્રવારે મુક્ત કરી શકાયો ન હતો. અભિનેત્રી જુહી ચાવલાએ આર્યન વતી જામીન આપ્યા છે.
હાલ આર્યન ખાન આર્થર રોડ જેલમાંથી છૂટીને 11.30 વાગ્યે પોતાના ઘરે મન્નત પહોંચ્યો છે. ઘરની બહાર ચાહકો ફટાકડા ફોડી રહ્યા છે. સવારે 11 વાગ્યે આખરે 27 દિવસ બાદ 28માં દિવસે આર્યનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આર્યન ખાન જેલમાંથી છૂટ્યા બાદ સીધો મન્નત પહોંચી ગયો છે. આર્યન બોડીગાર્ડ રવિ સાથે જેલમાંથી બહાર આવ્યો અને રેન્જ રોવર કારમાં તેના ઘરે પહોંચ્યો. મુંબઈની આર્થર રોડ જેલની બહાર તેના ચાહકો એકઠા થયા હતા. બીજી તરફ ઘર 'મન્નત'ની બહાર ઉજવણીનો માહોલ છે. મોટી સંખ્યામાં ચાહકો અને સુરક્ષાકર્મીઓ ત્યાં તૈનાત છે.