CJIએ બનાવી 5 સદસ્યોની સંવિધાનિક પીઠ, ચાર જજને ના કર્યા સામેલ
બળવો પોકરનાર અને પ્રેસ કોન્ફર્ન્સ કરનાર ચાર જજોની સંવિધાનિક જજોની બેઠકમાંથી થઇ બાદબાકી. પાંચ જજોની સંવિધાનિક બેઠકમાં આ લોકોનો ના થયો સમાવેશ. જાણો આ અંગે વિગતવાર અહીં.
દેશની સર્વોચ્ચ અદાલતમાં પાછલા અઠવાડિયાથી ચાલતો આંતરિક વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યો. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ મામલાની સુનવણીને લઇને ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠનું ગઠન કર્યું છે. જેમાં બળવો પોકારનાર ચાર ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે ચેલમેશ્વર, ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ એમ બી લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફને કોઇ પણ પદ આપવામાં નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે આ ચાર જજો દ્વારા જ પ્રેસ કોન્ફર્ન્સ કરીને ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની પ્રશાસનિક કાર્યશૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. અધિકૃત જાણકારી મુજબ જે પાંચ ન્યાયાધીશોની સંવિધાનિક પીઠ બોલવવામાં આવી છે તેમાં સીજેઆઇ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ કે સીકરી, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ ડી વાઇ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સંવિધાન પીઠ 17 જાન્યુઆરીથી અનેક મહત્વપૂર્ણ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે. જેમાં કેરળના સબરીમાળા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાના પ્રવેશથી લઇને સમલૈંગિક લોકો વચ્ચેના સંબંધોને યૌન અપરાધોની શ્રેણીથી બહાર રાખવા જેવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયોની સુનવણીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પ્રેસવાર્તાા પછી સોમવારે પારંપરિક રીતે તમામ જજ ચા પર મળ્યા હતા. આ સુપ્રીમ કોર્ટની એક જૂની પરંપરાનો ભાગ છે. ટીઓઆઇમાં છપાયેલી ખબર મુજબ ચા પર મળતી વખતે એક જૂનિયર જજે ગુસ્સે થઇને પ્રેસ કોન્ફર્ન્સ કરનાર જજોને ખૂબ જ સંભળાવ્યું હતું. જેમાં તેમણે પ્રેસ પાસે જતા પહેલા અમારી સાથે વાતચીત ન કરવા મામલે રોષ વ્યક્ત કર્યો છે.