ભારતમાં સગીરો દ્વારા બળાત્કારના કિસ્સાઓમાં 60.3 ટકાનો વધારો
નવી દિલ્હી, 18 ઓગસ્ટ : ભારતમાં સગીરો એટલે કે 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓ દ્વારા બળાત્કાર આચરવામાં આવે તેવા કિસ્સાઓમાં વધારો થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર સગીર વયના લોકો દ્વારા મહિલાઓ ઉપર હુમલાના કિસ્સામાં 132 ટકાનો, સગીર દ્વારા કરવામાં આવતા બળાત્કારના કેસમાં 60.3 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ વર્ષ 2013માં કિશોરો દ્વારા કરવામાં આવતા ગુનાઓના બનાવમાં જંગી વધારો થયો છે. મહિલાઓ ઉપર હુમલાના બનાવમાં 132.3 ટકા, મહિલાના અપમાનના બનાવમાં 70.5 ટકા અને રેપના બનાવમાં 60.3 ટકાનો વધારો થયો છે. આઈપીસી હેઠળ ધરપકડ કરવામાં આવેલા કુલ સગીરમાં 66.3 ટકાની વય 16થી18 વર્ષની વયની છે.
આ આંકડાઓ અનુસાર ગયા વર્ષે સગીરને આવરી લેતા કુલ 31,725 ફોજદારી કેસો નોંધાયા હતા. જ્યારે વર્ષ 2012માં આવી કેસોની સંખ્યા 27,936 હતી. આ આંકડાઓની વધેલી સંખ્યા સૂચવે છે કે ગયા વર્ષની સરખામણીમાં તેમાં 13.6 ટકાનો વધારો થયો છે.
ગયા વર્ષે સગીરની ધરપકડના મામલામાં ચોરીના કેસમાં સૌથી વધુ ધરપકડ થઈ હતી. ચોરીના કેસમાં 7,969 સગીરની ધરપકડ કરાઈ હતી. આવી જ રીતે આઈપીસી ક્રાઈમ હેઠળ ધરપકડ કરવામાં આવેલા સગીરની સંખ્યામાં સતત વધારો થયો છે.
વર્ષ 2013 દરમિયાન જુદા-જુદા ગુનાઓ કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા કુલ સગીર પૈકી 81 ટકા સગીર વયના તેમના માતા-પિતા સાથે રહે છે. મહિલા અને બાળવિકાસ પ્રધાન મેનકા ગાંધીએ બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં સગીર આરોપી સાથે પુખ્તવયના ગુનેગારોની જેમ જ વર્તન કરવાની તરફેણ કરી છે.