66 ભૂતપૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને પત્ર લખી ચૂંટણી કમિશનની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી
ભૂતપૂર્વ અમલદારોએ ચૂંટણી કમિશનની ભૂમિકા વિશે ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે દેશના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે.
લોકસભા ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે તો આ દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલા પણ ચર્ચામાં છે. ઘણા મોટા નેતાઓ સામે આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ ચૂંટણી કમિશન પર નિષ્પક્ષ ચૂંટણી પૂરી કરાવવાનું પણ દબાણ છે. આ દરમિયાન ઘણા ભૂતપૂર્વ અમલદારોએ ચૂંટણી કમિશનની ભૂમિકા વિશે ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે દેશના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે.
ભૂતપૂર્વ અમલદારોએ ચૂંટણી કમિશનને કરી ફરિયાદ
આચાર સંહિતાના પાલન મામલે 66 ભૂતપૂર્વ અમલદારોએ ચૂંટણી કમિશનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. આ પત્રમાં ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં મિશન શક્તિની સફળતા બાદ પીએમ મોદીનો દેશના નામે સંદેશ પણ શામેલ છે. ભૂતપૂર્વ અમલદારોએ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે પીએમ મોદીની બાયોપિક વિશે સવાલ ઉઠાવ્યા અને કહ્યુ કે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનની તારીખ (11 એપ્રિલ) નજીક આવી રહી છે તો આ બાયોપિક પર ચૂંટણી કમિશને વાંધો કેમ વ્યક્ત ન કર્યો.
પીએમ મોદીની બાયોપિક-વેબ સીરિઝ વિશે પણ અમલદારોએ વ્યક્ત કર્યો વાંધો
આ પાંચ પાનાંના પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આ એક રાજકીય વ્યક્તિ (અને તેમની પાર્ટી) માટે મફત પ્રચાર કરવા માટે પાછલા દરવાજેથી કરવામાં આવેલ પ્રયત્ન જણાઈ રહ્યો છે. ભૂતપૂર્વ અમલદારોએ 10 ભાગવાળી ‘વેબ સીરિઝ મોદીઃ અ કૉમન મેન્સ જર્ની' અને નમો ટીવીના લૉન્ચ પર પણ ચિંતા વ્યક્ત કરી છે.
66 પૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને લખ્યો છે પત્ર
જ્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના ‘મોદીની સેના' વાળા નિવેદન પર કોઈ મોટી કાર્યવાહી ના કરવા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ રાષ્ટ્રપતિને પત્ર લખનારામાં પૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનન, દિલ્લીના પૂર્વ એલજી નજીબ જંગ, પંજાબના પૂર્વ ડીજીપી જુલિયો રિબેરો અને ટ્રાઈના પૂર્વ ચેરમેન રાજીવ ખુલ્લરનું નામ શામેલ છે.
આ પણ વાંચોઃ કાલ્પનિક બહાદૂરીથી દેશ ન ચાલી શકેઃ પ્રણવ મુખર્જી