હોસ્પિટલમાં દાખલ થયેલા 7 ટકા કોવિડ દર્દીઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે - અભ્યાસ
કોરોના વાયરસ સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ 7 ટકા દર્દીઓમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે.
મુંબઈ : કોરોના વાયરસ સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ 7 ટકા દર્દીઓમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. મુંબઈની સેવન હિલ્સ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આવા દર્દીઓમાં માનસિક તણાવ, ડિપ્રેશન, સાયકોસિસ જેવી ગંભીર માનસિક સમસ્યાઓ જોવા મળી હતી, જેના માટે દર્દીઓને કાઉન્સેલિંગ અને સારવારની જરૂર હતી.
આ અભ્યાસ મુજબ આવા માનસિક લક્ષણો ઘણા દર્દીઓમાં 4 થી 6 મહિના સુધી જોવા મળ્યા હતા. હોસ્પિટલે જાન્યુઆરીથી 20 ઓગસ્ટ સુધી દાખલ 17,676 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, સારવાર કરનારા ડોક્ટર્સે 1585 દર્દીઓને માનસિક તપાસ માટે મોકલ્યા છે. આમાંથી 1233 દર્દીઓ (7%) ને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા હતી, જે તેમને પહેલા ન હતી.
આ સિવાય 219 દર્દીઓ એવા હતા, જેમને પહેલાથી જ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. જ્યારે કોવિડ અને માનસિક સ્વાસ્થ્યથી પીડાતા 9 દર્દીઓના મોત થયા છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ ડિપ્રેશનથી પીડાઇ રહ્યા છે.
આ 1233 દર્દીઓમાંથી જે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હોવાનું જણાયું હતું, તેમાં સૌથી વધુ 24 ટકા દર્દીઓ હતાશાથી પીડાતા હતા, જ્યારે 16 ટકા દર્દીઓ સંતુલન સમસ્યાઓથી પીડાતા હતા અને 14 ટકા ચિત્તભ્રમણાથી પીડાતા હતા. જે લોકો સતત રડી રહ્યા હતા અને નિંદ્રાથી પીડાતા હતા તેમજ સતત તણાવમાં હતા તેમને ડોક્ટર્સ દ્વારા માનસિક સ્વાસ્થ્યના અભ્યાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
1233 દર્દીઓમાંથી, 109 દર્દીઓ હતા જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલા ફરી સ્વસ્થ થયા હતા, જ્યારે 924 દર્દીઓ હતા જે 3થી 4 મહિનાના ફોલો-અપ બાદ સ્વસ્થ થયા હતા. કોવિડ બાદની ઓપીડીમાં હજૂ પણ 200 દર્દીઓ ફોલો-અપ માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે.
અવાજ ગુમાવવાની સમસ્યા
આ અભ્યાસમાં એક 18 વર્ષીય છોકરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેણે દાખલ થયા બાદ બોલવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. જે બાદ નાક, કાન અને ગળાના નિષ્ણાતો દ્વારા ઘણા પ્રયત્નો બાદ તેને મનોચિકિત્સક પાસે મોકલવામાં આવ્યો જ્યાં તેને કનવર્સન ડિસઓર્ડર તરીકે નિદાન કરવામાં આવ્યું હતું. આ એવી સ્થિતિ છે, જેમાં દર્દીને સમસ્યા હોય છે, પરંતુ તેની પાછળ કોઈ રોગ જાણી શકાતો નથી. આખરે ત્રણ દિવસના કાઉન્સેલિંગ બાદ છોકરાએ બોલવાનું શરૂ કર્યું હતું. આ સાથે એક વરિષ્ઠ નાગરિક કે, જેણે અચાનક ઉંઘવાનું બંધ કરી દીધું તેને બાયપોલર ડિસઓર્ડર હોવાનું જણાયું, પરંતુ સારવાર સાથે તે ડિસ્ચાર્જ થાય તે પહેલાં જ સમસ્યામાંથી પણ મુક્ત થયો હતો.