નવી દિલ્હી, 27 મે: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે નરેન્દ્ર મોદી સાથેની 45 મિનિટની મુલાકાત બાદ પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. સૌથી પહેલા તો શરીફે પત્રકાર પરિષદમાં આવતા મોડું થતા માફી માંગી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'આપને રાહ જોવડાવી તેના માટે માફી..'
શરીફે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત સારી રહી. તેમણે જણાવ્યું કે 'હું મોદીના આમંત્રણ પર ભારત આવ્યો હતો. ભારત આવીને ખૂબ જ ખુશી થઇ. આ એક ઐતિહાસિક પળ હતી. મારી સરકાર શાંતિ સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે.'
પાકિસ્તાનના વડાપ્રધાને જણાવ્યું 'શાંતિ વગર વિકાસ સંભવ નથી, ઝગડાના બદલે શાંતિ જાળવવા પર ભાર આપવું પડશે. સહયોગ દ્વારા બંને દેશોના સંબંધોને આગળ લઇ જવા પડશે.'
આજતકના મીડિયાકર્મી સાથેની વાતચીતમાં તેમણે એવું પણ જણાવ્યું કે 'મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇદ બાદ પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે, મને આશા છે કે તેઓ પાકિસ્તાન જરૂર આવશે.'